અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી લગભગ ₹2.10 કરોડની નકલી ચલણી નોટો પકડાતા મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન સરકારી લેબલ લગાવેલી કારમાંથી આ નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નોટો સત્યમ યોગ ફાઉન્ડેશન સાથે જોડાયેલી કારમાંથી મળી આવી હતી.
પોલીસે આ કેસમાં યોગગુરૂ તરીકે ઓળખાતા સદગુરુ પ્રદિપજીની અટકાયત કરી છે. સાથે જ અમદાવાદમાં કારમાં સવાર એક મહિલા સહિત કુલ 6 લોકોને પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સેવાકીય પ્રવૃત્તિઓના નામે નકલી નોટોના કારોબાર ચલાવવામાં આવતો હતો.
ગ્રામજનોએ લગાવ્યા ગંભીર આરોપ
પારડી વિલેજના ગ્રામજનોએ પણ સદગુરૂ પ્રદીપજી સામે અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ તેમના આશ્રમમાં રાત્રિના સમયે યુવતીઓ આવતી હતી અને ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચર્ચા છે. ગ્રામજનોએ એવો પણ દાવો કર્યો કે પ્રદીપજી અગાઉ આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા છે અને તેઓ આશ્રમમાં સામાન્ય લોકોને પ્રવેશ આપતા નહોતા. સ્થાનિક લોકોએ પ્રદીપજીની સંપત્તિની પણ તપાસ કરવાની માંગ કરી છે.
સંસ્થા વિશે શું કહે છે માહિતી?
સામાજિક માધ્યમોમાં ઉપલબ્ધ માહિતી મુજબ સત્યમ યોગ ફાઉન્ડેશનની સ્થાપના 5 ફેબ્રુઆરી 2008ના રોજ સદગુરૂ પ્રદીપજી દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાનો હેતુ યોગ અને આધ્યાત્મિક જીવનશૈલી દ્વારા લોકોને તણાવમુક્ત અને રોગમુક્ત જીવન તરફ દોરી જવાનો હોવાનું જણાવવામાં આવ્યું છે.
અનેક રાજકીય નેતાઓ સાથે તસવીરો
સંસ્થાના સામાજિક માધ્યમના પેજ પર અનેક જાણીતા રાજકીય નેતાઓ સાથે સદગુરૂ પ્રદીપજીની તસવીરો પણ જોવા મળે છે. તેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ સાથેની તસવીરો સામેલ હોવાનું જણાવાયું છે.
ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં નોટો જપ્ત
દરોડા દરમિયાન એક ટોયોટા ફોર્ચ્યુન કારમાંથી ₹500ના દરની મોટી સંખ્યામાં નકલી ચલણી નોટો મળી આવી હતી, જેની કુલ કિંમત અંદાજે ₹2 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. નોટોની સંખ્યા વધારે હોવાથી હાલ પોલીસે તેની ગણતરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ નકલી નોટો ક્યાં છાપવામાં આવી હતી અને બજારમાં ક્યાં વટાવવાની હતી. સાથે જ આ ₹2.10 કરોડની નકલી નોટો કોને આપવાની હતી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
