કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે અનોખો પ્રયાસ ,આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ અને સંભાળકર્તાઓ માટે અવેરનેસ મીટીંગ યોજી

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

અમદાવાદ : આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મીટીંગનો હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો, વહેલા નિદાનના મહત્વને ઉજાગર કરવાનો તેમજ સમયસર સારવાર દ્વારા સારવારના પરિણામોમાં સુધારો શક્ય બને તે બાબતે માર્ગદર્શન આપવાનો હતો. શનિવારે કલ્યાણમ વસ્ત્રાપુર કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું નેતૃત્વ આગમ કેન્સર સેન્ટરના સિનિયર મેડિકલ ઑન્કોલોજિસ્ટ ડૉ. આશિષ કૌશલે કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્સર દર્દીઓ અને તેમની સંભાળ રાખનારાઓને એકત્ર કરી કેન્સરના શરૂઆતના લક્ષણો, નિવારક પગલાં તથા ઉપલબ્ધ સારવાર વિકલ્પો અંગે ઇન્ટરેક્ટિવ સત્ર યોજાયું હતું. આ કાર્યક્રમમાં દર્દીઓના વાસ્તવિક જીવનના અનુભવો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેના દ્વારા ભાગ લેનારાઓને ઉપયોગી માહિતી સાથે પ્રેરણા મળી.

 

અમદાવાદના નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેન્સર સામે લડી રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે જાગૃતિનું મહત્વ તેમજ મજબૂત સહાયક વ્યવસ્થાની આવશ્યકતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

સહભાગીઓને સંબોધતા ડૉ. કૌશલે જણાવ્યું હતું કે, “આજે તમામ વય જૂથોમાં કેન્સરના કેસો વધતા જઈ રહ્યા છે, પરંતુ વહેલું નિદાન સફળ સારવારની શક્યતાઓને નોંધપાત્ર રીતે વધારી દે છે. જાગૃતિના કારણે દર્દીઓ લક્ષણોને વહેલી તકે ઓળખી શકે છે અને વિલંબ કર્યા વિના તબીબી સલાહ લઈ શકે છે. તબીબી સારવારની સાથે ભાવનાત્મક સહારો અને યોગ્ય માહિતી સુધી પહોંચ પણ દર્દીની સમગ્ર સારવારયાત્રાના મહત્વપૂર્ણ પાસાઓ છે.”

 

કેન્સર સારવાર ક્ષેત્રે થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડતા ડૉ. કૌશલે અંગસંરક્ષક સારવાર પદ્ધતિઓ વિશે જણાવ્યું હતું. તેમાં સ્તન સંરક્ષણ સર્જરી, લિમ્બ-સેલ્વેજ પ્રક્રિયાઓ, વોઇસ બોક્સ સંરક્ષણ તકનીકો, પ્રિસિઝન રેડિએશન તેમજ ટાર્ગેટેડ દવાઓનો સમાવેશ થાય છે. આ આધુનિક પદ્ધતિઓ દ્વારા મહત્વપૂર્ણ અંગોની સુરક્ષા જાળવી રાખતાં કેન્સરની અસરકારક સારવાર કરવી અને દર્દીઓની જીવન ગુણવત્તા જાળવવાનો હેતુ રાખવામાં આવે છે.

 

કીમોથેરાપી દરમિયાન વાળ ઊડી જવાની અસર ઘટાડવામાં મદદરૂપ બનતા સ્કેલ્પ કૂલિંગ કેપ્સ જેવા સહાયક ઉપાયો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સત્ર દરમિયાન સ્વસ્થ જીવનશૈલી અપનાવવી, નિયમિત આરોગ્ય તપાસ કરાવવી તેમજ સારવાર દરમિયાન અને બાદમાં તબીબી સલાહનું પાલન કરવાની અગત્યતા સહિતના નિવારક પગલાંઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. અમદાવાદની શ્રેષ્ઠ કેન્સર હોસ્પિટલોમાં સ્થાન ધરાવતા આગમ કેન્સર સેન્ટર દ્વારા કેન્સર નિવારણ, વહેલા નિદાન અને ઉપલબ્ધ સારવાર વિકલ્પો અંગે જનજાગૃતિ ફેલાવવા નિયમિત રીતે અવેરનેસ કાર્યક્રમો અને સમુદાય આધારિત પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. સેન્ટર દર્દી-કેન્દ્રિત અભિગમ અપનાવે છે, જેમાં ચોક્કસ નિદાન, વ્યક્તિગત સારવાર આયોજન અને વ્યાપક સંભાળ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

 

આ સેન્ટર કેમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી તેમજ જિનેટિક પ્રોફાઇલિંગ આધારીત પ્રિસિઝન મેડિસિન સહિતની વ્યાપક ઑન્કોલોજી સેવાઓ પ્રદાન કરે છે. આધુનિક ટેક્નોલોજી અને માળખાકીય સુવિધાઓથી સજ્જ આ સેન્ટર તબીબી સારવારથી આગળ વધીને માનસિક કાઉન્સેલિંગ, પોષણ માર્ગદર્શન અને ફાર્મસી સહાય જેવી સર્વાંગી સહાયક સેવાઓ પણ પૂરી પાડે છે, જેથી દર્દીઓને સંપૂર્ણ સંભાળ મળી રહે. કેન્સર જાગૃતિ કાર્યક્રમ જેવી પહેલો દ્વારા આગમ કેન્સર સેન્ટર કેન્સર સારવારના દરેક તબક્કે દર્દીઓ અને તેમની સંભાળ રાખનારાઓને સતત સહારો અને માર્ગદર્શન આપવાની પોતાની પ્રતિબદ્ધતા આગળ વધારી રહ્યું છે.

Share This Article