દેશમાં હિંસા માટે કોઇ સ્થાન નથીઃ રાષ્ટ્રપતિની સાફ વાત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના વિકાસમાં મહિલાઓ અને યુવાઓના યોગદાનની આજે પ્રસંસા કરી હતી. સાથે સાથે તેમને પુરતા અવસર આપવાની પણ તરફેણ કરી હતી. આજે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર દેશને નામ સંબોધનમાં રાષ્ટ્રપતિએ સેના અને પોલીસ દળોની કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેમના વગર દેશમાં શાંતિ અને વ્યવસ્થા થઇ શકે તેમ નથી.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, દેશમાં હિંસા માટે કોઇ સ્થાન નથી. આજે દેશ એક નિર્ણાયક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. અમને ધ્યાન ભટકાવી શકે તેવા મુદ્દાઓથી આગળ વધીને લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. નિરર્થક વિવાદોમાં પડીને ધ્યાન ભંગ કરવાની જરૂર નથી. સ્વતંત્રતાને યાદ કરતા રાષ્ટ્રપતિએ દેશવાસીઓને સ્વતંત્રતા સેનાનીઓના સપનાને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધવા અપીલ કરી હતી. દેશને હજુ ગરીબી અને અસમાનથી મુક્ત કરવા માટેના પ્રયાસો કરવાની જરૂર છે.

દેશની સ્વતંત્રતાના ૭૧ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમે ભાગ્ય શાળી છે કે અમને મહાન દેશભક્તોની વિરાસત મળી છે. ખેડૂતો એવા કરોડો દેશવાસીઓ માટે અનાજ પેદા કરી રહ્યા છે. તેમને પણ વધુ સુરક્ષા અને સુવિધા મળે તે જરૂરી છે. તેમની આવક વધારવાના પ્રયાસ આધુનિક ટેકનોલોજી મારફતે થઇ રહ્યા છે.

કોવિંદે કહ્યું હતું કે, અમારા સૈનિકો જટિલ સ્થિતિમાં દેશની સુરક્ષામાં સમર્પિત રહ્યા છે. મહિલાઓના સશક્તિકરણની પણ જરૂર રહેલી છે. યુવાનો ભારતની આશાઓ અને અપેક્ષાઓની આધારશીલા છે. તેમની સક્રિય ભાગીદારી જરૂરી બની છે. સ્વચ્છતા મિશન પણ ખુબ મહત્વપૂર્ણ છે.

Share This Article