નવી દિલ્હી : ભારતમાં જીવલેણ વાઇરસ કોરોના ફરી ઉથલો મારવા લાગ્યો છે, દેશના ૨૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા આ વર્ષે પ્રથમ વખત એક હજારને પાર પહોંચી ગઈ છે, દેશની રાજધાનીમાં કોરોનાના એક્ટિવ કેસ ૧૦૦થી વધુ એક્ટિવ કેસ નોંધાયા. સૌથી વધુ કોરના કેસો કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે.
તાજેતરના આંકડાઓ અનુસાર, દિલ્હીમાં હાલ ૧૦૦થી વધુ સક્રિય કોરોનાના કેસ છે, જેમાંથી છેલ્લા એક સપ્તાહમાં ૯૯ નવા કેસ નોંધાયા છે. આ વધારો દર્શાવે છે કે વાયરસ હજુ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવ્યો નથી. આ સાથે, દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧,૦૦૦ને વટાવી ગઈ છે, જે એક ગંભીર પરિસ્થિતિ સૂચવે છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર અને આરોગ્ય વિભાગે દેખરેખ અને ટેસ્ટિંગ પ્રક્રિયાને વધુ તીવ્ર કરવાનો ર્નિણય લીધો છે. આરોગ્ય વિભાગે લોકોને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત, દિલ્હીના આરોગ્ય વિભાગે કોરોના વાયરસ સંબંધિત એક એડવાઇઝરી પણ જારી કરી છે, જેમાં નાગરિકોને સાવચેતી રાખવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
પંજાબના ચંદીગઢમાં કોવિડ-૧૯ ચેપને કારણે પહેલું મૃત્યુ નોંધાયું છે. સેક્ટર-૩૨માં સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ લુધિયાણાના ૪૦ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું.દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ચાર દિવસ પહેલા હોસ્પિટલના ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ડોક્ટરોએ કોવિડ પરીક્ષણ કર્યું ત્યારે તે પોઝિટિવ જાેવા મળ્યો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
મહત્વનું છે કે, કોવિડના નવા પ્રકાર અંગે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ, ડૉ. રાજીવ બહલે કહ્યું કે અત્યાર સુધી મળી આવેલા કેસ ખૂબ ગંભીર નથી. તેમણે કહ્યું, “ભારતમાં કોવિડ-૧૯ ચેપ વધી રહ્યો છે, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે આ ગંભીર નથી. અમે તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.”