અમદાવાદમાં એકાએક ફરી ગરમી : તાપમાન ૧૬થી વધુ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં એકાએક નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય પરંતુ ૪૮ કલાકના ગાળા બાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ દાહોદ, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. આનો મતલબ એ થયો કે, તાપમાનમાં ફરી ઘટાડો થવાના સંકેત છે.

આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬.૬ ડિગ્રી રહેતા લોકોને ગરમીનો અનુભવ થયો હતો. મોટાભાગના વિસ્તારોમાં આજે ગરમીનો અનુભવ થયો હતો. ગાંધીનગરમાં પણ પારો ૧૪.૫ સુધી પહોંચ્યો હતો જ્યારે નલિયામાં પારો ૧૨ રહ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજે પારો ૧૪થી ઉપર રહ્યો હતો જે સામાન્ય તાપમાનથી વધારે છે. અમદાવાદમાં આવતીકાલે પારો વધુ વધીને ૧૭ સુધી પહોંચી શકે છે.  ફુલગુલાબી ઠંડી વચ્ચે મોર્નિગ વોક પર જતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં વધીને ૧૭ ડિગ્રીની આસપાસ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. અલબત્ત ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ હવે હિમવર્ષામાં બ્રેક મુકાતા જનજીવન ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. મુખ્ય રસ્તાઓને પણ બરફને દૂર કરવામાં આવ્યા બાદ ખોલી દેવામાં આવ્યા છે.  ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો થયો જેથી આજે દિવસ દરમિયાન લોકોમાં વાતાવરણને લઇને ચર્ચા જાવા મળી હતી. થોડાક દિવસ પહેલા જ બહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો અને જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. હવે સ્થિતિ સામાન્ય બનતા લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. આજે ડિસામાં પારો ૧૬.૨, ગાંધીનગરમાં ૧૪.૫, વડોદરામાં ૧૪, સુરતમાં ૧૯.૬, વલસાડમાં ૧૫.૧, અમરેલીમાં ૧૭.૫, રાજકોટમાં ૧૬.૭, સુરેન્દ્રનગરમાં ૧૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

Share This Article