નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2026માં નામીબિયા સામે રમાનારી મેચ પહેલાં ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના યુવા અને વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માને પેટમાં ગંભીર ઇન્ફેક્શન થતા દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કારણે 12 ફેબ્રુઆરીએ રમાનારી આગામી મેચમાં તેમનું રમવું લગભગ અશક્ય માનવામાં આવી રહ્યું છે. વર્લ્ડ કપની શરૂઆતમાં જ ટીમ માટે આ સારા સંકેતો નથી.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ, અમેરિકા સામેની મેચ પહેલાં જ અભિષેક અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. મેચ રમ્યા બાદ તેમની તબિયત વધુ બગડી ગઈ, જેના પગલે તેમને તેજ તાવ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બીસીસીઆઈના એક સૂત્રે પુષ્ટિ કરી છે કે અભિષેક હાલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે અને કેટલાક ટેસ્ટ ચાલી રહ્યા છે. તેમની તબિયતની ગંભીરતા એથી સમજાય છે કે અમેરિકા સામેની મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થયા બાદ તેઓ ફિલ્ડિંગ માટે મેદાન પર ઉતર્યા નહોતા. તેમની જગ્યાએ સંજુ સેમસને આખો સમય ફિલ્ડિંગ કરી હતી. મેચ જીત્યા બાદ પણ અભિષેક ખેલાડીઓ સાથે હાથ મિલાવવા બહાર આવી શક્યા નહોતા.
ભારતીય ટીમના સહાયક કોચ રાયન ટેન ડોશેટે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં ટીમની સ્થિતિ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ટીમ સાથે જોડાઈ ગયા છે અને તેમણે પ્રેક્ટિસ શરૂ કરી છે. જો અભિષેક સમયસર ફિટ નહીં થાય તો સુંદર અથવા સંજુ સેમસનને પ્લેઇંગ 11માં તક મળી શકે છે. બીજી તરફ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ વિશે રાહતના સમાચાર છે. 10 દિવસના વિરામ બાદ બુમરાહે બોલિંગ શરૂ કરી છે અને તેઓ સંપૂર્ણ ફિટ દેખાઈ રહ્યા છે. કોચે કેપ્ટન સુર્યકુમાર યાદવની પણ પ્રશંસા કરી, જેમણે છેલ્લી મેચમાં 84 રનની ઇનિંગ્સ રમીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી.
ટેન ડોશેટે કહ્યું, “અભિષેકના પેટમાં હજી થોડી તકલીફ છે, પરંતુ અમને આશા છે કે બે દિવસમાં તેઓ સાજા થઈ જશે.” જોકે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે મહત્વપૂર્ણ મુકાબલો રમાવાનો છે. આ મેચમાં અભિષેક શર્માનું રમવું ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
