વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં આપ-કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન તૂટ્યું, જોવા મળશે ત્રિપાંખિયો જંગ

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : કડી, વિસાવદરની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ ગઠબંધન નહીં કરે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, વિસાવદર અને કડી વિધાનસભા બેઠક ખાલી પડી હોવાથી આ બન્ને બેઠક પર ગમે ત્યારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. એવામાં હવે આ બંને બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી હતી કે, કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ર્નિણય લેવાયો છે. ‘વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે. આ બંને બેઠકો પર કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવશે.‘શક્તિસિંહે જણાવ્યું હતું કે, ‘ગઠબંધનનો કેટલોક નિયમ હોય છે. કેન્દ્રમાં અમારું ગઠબંધન યથાવત્ છે, પરંતુ રાજ્ય અંગે હાઇ કમાન્ડ તરફથી સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારો ઉતારશે.‘

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢની વિસાવદર બેઠક રાજકીય સ્તરે વધુ મહ્તવની ગણવામાં આવે છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની આ પરંપરાગત બેઠક ગણાય છે. અને તેમના બાદ જો કોઈએ સૌથી વધુ આ બેઠક પર જીત મેળવી હોય તો તે હર્ષદ રીબડીયા છે. કોંગ્રેસની ટિકિટ પરથી હર્ષદ રિબડીયા બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ ગત ચૂંટણીમાં તેઓ ભાજપમાં જોડાયા અને તેમને આપ પાર્ટીના ઉમેદવાર ભૂપતા ભાયાણીએ ૭ હજાર મતોના માર્જિનથી હાર આપી હતી. જાે કે આપમાં વિજયી બનેલ ભૂપત ભાયાણી મૂળ ભાજપના માનવામાં આવે છે. કારણ કે ભૂપત ભાયાણી બે વર્ષ પહેલા ભાજપ છોડી આપ પાર્ટીમાં જાેડાયા હતા.આગામી સમયમાં વિસાવદર બેઠક પર વિધાનસભા ચૂંટણીને લઈને વધુ રસાકસીનો જંગ જાેવા મળશે.

Share This Article