કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન કરાયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેન બાદ સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ પણ ગુજરાતને મળી છે. દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થાય એની તૈયારીના ભાગરૂપે સવારે કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતું. ટ્રેનને ૧૩૦ કિમીની ઝડપે દોડાવીને ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. ટ્રાયલ રન દરમિયાન વડોદરા સ્ટેશન પર હોલ્ટ લીધા બાદ સીધી મુંબઈ ખાતે આ ટ્રેન ઊભી રહેશે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૧૮૦થી ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે. ટ્રાયલ સફળ થયા બાદ નવરાત્રિમાં આ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થાય એવી પૂરી શક્યતા છે. આરામદાયક સુવિધાથી સજ્જ આ વંદે ભારત સપ્તાહમાં ૬ દિવસ દોડશે. અમદાવાદ- મુંબઈનું ભાડું રૂ.૩૫૦૦ હશે. અમદાવાદથી સવારે ઊપડી બપોરે મુંબઈ પહોંચશે, જ્યારે મુંબઇથી આ ટ્રેન બપોરે ઊપડી રાતે અમદાવાદ પહોંચશે. સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ અપાયું છે. હાલ દેશમાં વારાણસી – નવી દિલ્હી અને દિલ્હી – કટરા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસમાં સંચાલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ-મુંબઈનું ૪૯૧ કિમીનું અંતર ૬ કલાકમાં પૂરું થશે. ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકાર સીટ ધરાવતી આ ટ્રેનનું ભાડું શતાબ્દીથી સામાન્ય વધુ અને તેજસ કરતા ઓછું રહેશે. ૧૧૨૮ પેસેન્જર મુસાફરી કરી શકશે. વર્ષ ૨૦૨૩ સુધીમાં અમદાવાદ-મુંબઈ સહિત ૭૫ રૂટ પર ટ્રેન દોડાવાશે. પેસેન્જરોને ઈન્ફર્મેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર, સ્મોકિંગ ડિરેક્શન એલાર્મ જેવી સુવિધા અપાઈ છે.

Share This Article