ગાંધીનગર: ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી. તહેવાર દરમિયાન રાજ્યભરમાં ઈમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગઈકાલે (4 માર્ચ) સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં કુલ 3796 ઈમરજન્સી કેસ નોંધાયા હતા, જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ 3266 કેસ નોંધાતા હોય છે. એટલે કે કુલ 530 કેસ વધુ નોંધાતા અંદાજે 16.22 ટકાનો વધારો નોંધાયો છે.
જિલ્લાવાર આંકડાઓ મુજબ અમદાવાદમાં સૌથી વધુ 723 કેસ નોંધાયા હતા. સુરતમાં 455, વડોદરામાં 195 અને રાજકોટમાં 151 ઈમરજન્સી કેસ નોંધાયા છે. દાહોદમાં 139, વલસાડમાં 135 અને કચ્છ જિલ્લામાં 134 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ભાવનગરમાં 110, જામનગરમાં 104, ગાંધીનગરમાં 94 અને પંચમહાલમાં 88 કેસ નોંધાયા છે. તાપી અને છોટાઉદેપુર જિલ્લામાં 87-87 કેસ નોંધાયા છે, જ્યારે ભરૂચમાં 86, ખેડામાં 84, મોરબીમાં 83 અને અમરેલીમાં 80 કેસ નોંધાયા છે.
બનાસકાંઠામાં 79, મહેસાણામાં 78, જૂનાગઢમાં 76 અને સાબરકાંઠામાં 75 કેસ નોંધાયા છે. આણંદમાં 66, દેવભૂમિ દ્વારકામાં 62, અરવલ્લીમાં 61 અને નવસારીમાં 60 કેસ નોંધાયા છે. મહીસાગર અને નર્મદા જિલ્લામાં 57-57 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં 54, પાટણમાં 47 અને ડાંગ તથા પોરબંદરમાં 44-44 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં 38 કેસ નોંધાયા છે, જ્યારે બોટાદ જિલ્લામાં સૌથી ઓછા 23 ઈમરજન્સી કેસ નોંધાયા હતા.
બીજી તરફ, ધુળેટીના તહેવાર દરમિયાન કેટલીક દુર્ઘટનાઓને કારણે રાજ્યમાં શોકમય માહોલ જોવા મળ્યો હતો. નદી, કેનાલ અને તળાવમાં ડૂબી જવાની ઘટનાઓમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 30 લોકોના મોત થયાના અહેવાલ મળ્યા છે.
સુરત જિલ્લામાં બે અલગ-અલગ બનાવોમાં 7 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ બે બનાવોમાં 7 લોકોના મોત થયા છે. મહીસાગર જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં બે બનાવોમાં 4, નર્મદા જિલ્લામાં 3 અને મહેસાણા જિલ્લામાં બે બનાવોમાં 3 લોકોના મોત થયા છે. ઉપરાંત અમરેલી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે.
