ઇન્ડિયા ફાઉન્ડેશન અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 થી 20 સપ્ટેમ્બરના ત્રિ – દિવસીય આંતર રાષ્ટ્રીય પરિસંવાદનો અમદાવાદ મુકામે યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં પ્રારંભ થયો.” ધર્મ – ધમ્મ ” થીમ આધારિત આ પરિસંવાદમાં માનનીય રાજ્યપાલ, કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, મહામહિમ ડો.મહેન્દ્ર ગોંદિયા,મોરેશિયસના મંત્રી મહેન્દ્ર ગોંદિયા અને ભૂતાન સરકારના મંત્રી શેરિંગ, સ્વામી ગોવિંદદેવગિરિ મહારાજ; રામજન્મભૂમિ તીર્થ ન્યાસના ખજાનચી, ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ ડો.રામ માધવ તથા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. અમી ઉપાધ્યાયની પ્રેરક ઉપસ્થિતિમાં વીસ દેશના પ્રતિનિધિઓ બૌદ્ધ ધર્મના સન્યાસીઓ તથા ડો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સહભાગિતા વાળા આ પરિસંવાદમાં અધ્યક્ષ સ્થાનેથી રાજ્યપાલએ ધર્મની સૂક્ષ્મ વ્યાખ્યા કરવાની સાથે કર્મફળનો સિદ્ધાંત સચોટ રીતે પ્રસ્તુત કર્યો હતો. ભારતીય સંસ્કૃતિના પ્રથમ ગ્રંથ વેદના મર્મને ઉપસાવતા આચાર્યએ માનવધર્મ અને જીવનમૂલ્યોની સહજ સમજૂતી વ્યકત કરી દયાનંદ સરસ્વતીને યાદ કરી પુનર્જન્મ સિદ્ધાંતને અસરકારક રીતે સમજાવ્યો. વિશાળ સંખ્યામાં સક્રિય ઉપસ્થિતિમાં કાર્યક્રમની શોભા વધારી. ધર્મ – ધમ્મ વિષયક આધ્યાત્મિક ,સાંસ્કૃતિક સઘન અધ્યયન તથા ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિના સમન્વયથી વિશ્વના સોળ દેશના સહભાગી લાભાન્વિત થશે.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે હેતુપૂર્ણ જીવન માટે ધર્મની આવશ્યક્તા અને અધ્યયન પર ભાર મૂક્યો .અસ્તિત્વને અર્થપૂર્ણ આયામ આપવાની ભારતીય ચિંતન પ્રણાલી વિશે તેમણે આદર વ્યક્ત કર્યો અને આયોજક સંસ્થા તથા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને સેમિનાર માટે અભિનંદન પાઠવ્યા.
મોરિશિયસના મંત્રી મહેન્દ્ર ગોંદીયા એ તીર્થભૂમિ ગુજરાતની ધરતી પર આ પરિસંવાદ નિમિત્તે હાજર રહેવા મળ્યું એ બદલ ધન્યતાની લાગણી વ્યક્ત કરી.ધર્મની સહજ વાત કરતાં તેમણે ગાંધીજીને યાદ કરીને કહ્યું કે “અન્યની સેવામાં જાતને ઓગાળી દેવી એ જ પોતાને પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ ઉપાય છે.” કર્મ ,પુનર્જન્મ અને અવતાર સિદ્ધાંત વિશે આ પરિસંવાદમાં થનારી ચર્ચા વિશે તેમણે પ્રસન્નતા વ્યકત કરી.
ભૂતાનના મંત્રી શેરીંગ-એ આપણા સમયમાં આઘુનિક વિજ્ઞાન , રેશનાલિઝમના સમયમાં ધર્મ ધમ્મ પરિષદની સાર્થકતા અને અસરકારકતા સ્પષ્ટ કરી સત્કર્મથી સંસારમાં સહજ રીતે જીવવું એવો મર્મ વ્યક્ત કર્યો. તેમણે આગામી નવેમ્બર 2025 ના ભૂતાન ખાતે ગ્લોબલ પીસ ફેર ફેસ્ટિવલના આયોજનની વાત કરી સૌને પધારવા ભાવપૂર્વક નિમંત્રણ આપ્યું .
પ્રારંભે રામજન્મભૂમિ તીર્થ ન્યાસના ખજાનચી શ્રી ગોવિંદ ગિરિ મહારાજે ઇન્ડિયા ફાઉન્ડેશન તરફથી સૌનું સ્વાગત કર્યું અને ભારતીય પરંપરાના મહાન ધર્મોનો ઉલ્લેખ કરી સત્ય,અહિંસા,અચૌર્ય,અપરિગ્રહ, બ્રહ્મચર્યના પાલન ની ભૂમિ તરીકે ભારતનો ઉલ્લેખ કરી સમુચિત ઉઘાડ કર્યો.
ડો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.અમી ઉપાધ્યાય,કુલસચિવ એ. કે. જાડેજા તથા બોર્ડ મેમ્બર ડો. અવનિ ત્રિવેદી , શ્રી યતીન પટેલે યુનિવર્સિટી વતી મહેમાનોનું અભિવાદન કર્યું હતું . બૌદ્ધ સંતો, વિવિધ દેશના સહભાગી તથા યુનિવર્સિટીના વિશાળ વિદ્યાર્થી સમુદાયની હાજરીથી ઉદઘાટન સત્ર સફળ રહ્યું .