ગુજરાતની ઈ-વિધાનસભાના પ્રથમ દિવસે જ ભારે વિવાદ સર્જાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિધાનસભાના લૉન્ચિંગના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ હાજર હતા. તે સમયે રાષ્ટ્રપતિ અને મુખ્યપ્રધાનના સન્માન માટે કોંગ્રેસના નેતા અમિત ચાવડા, ચૈતર વસાવા અને શૈલેષ પરમારને આમંત્રિત કરાયા હતા, પરંતુ તેઓએ સન્માન કરવાની ના પાડી દીધી હતી. બાદમાં ગૃહની બહાર કલોલ તાલુકા પંચાયતના સભ્યો મુદ્દે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો. ગૃહમાં મુખ્યપ્રધાનના સન્માન અંગે અમિત ચાવડાને પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે- મુખ્યપ્રધાનના આદેશથી પોલીસ કલોલના સભ્યોને ઉઠાવીને લઈ ગઈ છે. આ લોકશાહીનું અપમાન છે. તેઓ રાષ્ટ્રપતિની હાજરીમાં લોકશાહીના હનન અંગે રજૂઆત કરવા માગતા હતા.

એકતરફ લોકશાહીનું હનન થાય અને બીજીતરફ રાષ્ટ્રપતિનું સ્વાગત કરીએ એવું સરકાર ઇચ્છતી હતી. જેથી તેઓએ પ્રતિક વિરોધ તરીકે સન્માન નહોતું કર્યું ચાવડાએ કહ્યું કે- જ્યાં લોકશાહીનું અપમાન એ રાષ્ટ્રપતિનું અપમાન છે અને લોકશાહીની હત્યા કરવાવાળાઓનું કોંગ્રેસ ક્યારેય સન્માન ન કરી શકે. તો બીજી તરફ કેબિનેટપ્રધાન ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો. ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસે ગુજરાતના ગૌરવનું અપમાન કર્યું છે અને વારંવાર અપમાન કરતું આવ્યું છે. જો વિરોધ કરવો હોય તો અન્ય રીતે કરી શકાયો હોત, પરંતુ કોંગ્રેસે સમગ્ર ગુજરાતની ગરિમા ધરાવતા ગૃહનું અપમાન કર્યું છે.

Share This Article