વડોદરામાં ૩૨ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વધુ બે લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા

ગુજરાતમાં હાર્ટએટેક જીવલેણ બની રહ્યો છે. રોજ ગુજરાતના કોઈને કોઈ શહેરમાં હૃદય બંધ પડી જવાથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આજે વધુ બે લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા છે. વડોદરામાં ૩૨ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તો સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા ૬૬ વર્ષીય વૃદ્ધ ચાલુ કામમાં જ ઢળી પડ્યા હતા. આ ઉપરાંત ચોંકાવનારો આંકડો એ પણ છે કે, વડોદરામાં ગત ૧૫ દિવસમાં ૨ યુવકોના હૃદયના ધબકારા બંધ થયા છે. વડોદરા શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. છેલ્લાં ૧૫ દિવસમાં હાર્ટ એટેકથી ૧૨ યુવાનોના મોત થયા છે. ૩૨ વર્ષના નયનકુમાર પટેલનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. સામી દિવાળીએ યુવાનનું મોત થતા પરિવાર શોકાતૂર બન્યો છે. નયનકુમાર પટેલ બાજવા રોડ પર ગીરીરાજ નગરમાં રહે છે. ગત રોજ તે દાંડિયા બજાર પાનના ગલ્લા પર મિત્રને મળવા ગયો હતો, ત્યાં ગભરામણ થઈને વોમીટીંગ થઈ હતી. મિત્રએ તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતું ટૂંકી સારવાર બાદ નયનકુમાર પટેલનું મોત નિપજ્યુ હતું. તો બીજી તરફ, સુરત શહેરમાં પણ હાર્ટ એટેકના કિસ્સો સતત વધી રહ્યાં છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા ૬૬ વર્ષના વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. હીરાની ધંટી પર કામ કરતી વખતે વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. બાદમાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. જેથી આજુબાજુના કારીગરો દોડી આવ્યા હતા. આ ઘટનામાં ૬૬ વર્ષના બાબુભાઇ વાઘેલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. વૃદ્ધના મોતની ઘટના કંપનીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

Share This Article