નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ભલે ફરી એકવાર વચગાળાના બજેટના બદલે પૂર્ણ બજેટ રજૂ કરવાના સંકેત આપી રહી છે પરંતુ તેના માટે પણ આ બજેટમાં આફત સમાન બની શકે છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે ખર્ચાળ યોજનાઓને અમલી કરવામાં મુશ્કેલી આવી શકે છે. વર્તમાન બજેટ આગામી સરકાર માટે આફત સમાન સાબિત થઇ શકે છે.કેન્દ્રિય બજેટમાંથી એક ચતુર્થાશ રકમ અને રાજસ્વ આવક પૈકી આશરે ૪૦ ટકા રકમ તો જુની લોનના વ્યાજની ચુકવણીમાં જ ખર્ચ થઇ જશે. તેમ છતાં જો સરકાર આ મર્યાદાઓને પાર કરીને ચૂંટણીને ધ્યાનમાં લઇને જો કોઇ મોટી યોજનાઓને અમલી કરવાની જાહેરાત કરશે તો આ ચૂંટણી બાદ આવનાર સરકાર માટે મુશ્કેલી ઉભી થશે.
કારણ કે બજેટને અમલી કરવાનુ કામ નવી સરકારનુ રહે છે. વ્યાજની મોટી રકમના કારણે સરકાર માટે બજેટમાં મોટી યોજનાઓ માટે રકમની ફાળવણી કરવાની બાબત મુશ્કેલરૂપ થઇ જાય છે. ચૂંટણી બજેટમાં આ અડચણ મોદી સરકારને વધારે હેરાન કરી શકે છે. કેન્દ્ર સરકારે છેલ્લા બજેટમાં ૧૪.૮૦ લાખ કરોડથી વધારેની રકમ માટે રાજસ્વનો અંદાજ મુક્યો હતો. આ રાજસ્વ પૈકી આશરે ૪૦ ટકા રકમ તો લોન ભરપાઇમાં ખર્ચ થઇ જાય છે.
આવી સ્થિતીમાં જો વર્તમાન સરકાર પોતાના અંતિમ બજેટમાં લોનની મર્યાદા તોડીને જો લોકપ્રિય યોજના જાહેર કરે છે તો તેની અસર આગામી સરકારના બજેટ પર પડશે. કારણ કે આ વધી ગયેલી રકમ બજેટમાં જોડાઇ જશે. આવી સ્થિતીમાં જા મોદીના નેતૃત્વમાં ફરી સરકાર બનશે તો આ સમસ્યા તેના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ગયા વર્ષે નાણાંપ્રધાન અરૂણ જેટલીએ વર્ષ ૨૦૧૮-૧૯ માટે લોનની મર્યાદા ૬.૨૪ લાખ રૂપિયા નક્કી કરી હતી. એમ છતાં નાણાંકીય વર્ષના આઠ મહિનાના ગાળામાં જ સરકાર આ મર્યાદા કરતા ૧૫ ટકા વધારે લોન લઇ ચુકી છે. નાણાંકીય વર્ષ દરમિયાન તેમાં પાંચ ટકાનો વધારો થશે.