OSCAR – શું આ એવોર્ડ તમે જીત્યો કે નહિ? ભાગ – ૩

News KhabarPatri
By News KhabarPatri 6 Min Read

હાય દોસ્તો, હું છું આદિત શાહ, આપનો ફેવરેટ COLUMNIST,.. ને લખવામાં થોડો BEAST (જંગલી)… અમારા જેવા લોકોએ બિસ્ટ રહેવું જ પડે યાર, નહિ તો લોકો અમારા જેવા શાંત સામાજિક પ્રાણીને સુખેથી રહેવા ક્યાં દે છે…

બાય ધ વે, વિચિત્ર લાગ્યુ ને, ટાઈટલ વાંચીને… તકલીફ તો રહેવાની જ બોસ…આપણું કામકાજ જ એવું ભારે છે તો…જો કે આજનો ટોપિક પણ તો એવો છે. “C 4 CHARACTER”….. આમ મજબૂત… સિમેન્ટ જેવો બોલે તો એક વાર જીવનમાં અમલ કરી લીધો એટલે જીવનની નૈયા સાત સમુંદર પાર ચલી સમજી લો…

દોસ્તો, ગયા સપ્તાહે આપણે વાત કરી હતી “S ફોર SELF INVOLVEMENT” ની બોલે તો “સ્વ સમાવેશની…માલિકીપણું અને સ્વ સમાવેશ પછી જો ઓસ્કાર પ્રાપ્તિ તરફની યાત્રાની વાત કરીએ તો ત્રીજું, જે અતિ મહત્વનું કદમ છે એ છે તમારું CHARACTER એટલે કે ચરિત્ર. જેમ જેમ જીવનમાં સફળતા મળતી જશે એમ એમ ચરિત્ર એટલું જ મહત્વપૂર્ણ કારક બનતું જશે. જરા સા કેરેક્ટર લૂઝ હુઆ તો સમજો પૂરે કેરિયર ઔર રિસ્પેક્ટ કી લૂઝ મોશન શુરૂ…

ગત વર્ષે બોલિવુડના એક પ્રખ્યાત ફિલ્મનિર્માતાનું નામ કાસ્ટિંગ કાઉચ મામલે ઉંચકાયું હતુ. એક મોડેલે ૨૦૦૪માં જાણીતા ફિલ્મ નિર્માતા પર કાસ્ટિંગ કાઉચ મામલે કેસ કર્યો હતો પરંતુ પોતાના સાફ ચરિત્રને લીધે કોર્ટે ફિલ્મ નિર્માતાને નિર્દોષ જાહેર કર્યા અને મોડલને સજા ફટકારી હતી.

અહીં આ એક ફક્ત ઉદાહરણ પૂરતી વાત હતી પણ સમજવાનો મુદ્દો એ છે માયાવી મુંબઈની ડાર્કેસ્ટ સાઈડ વિશેની મૂવી બનાવી સમાજને એનાથી વાકેફ કરનાર નિર્માતા પર જો લાંછન લાગી શકતું હોય તો એક સામાન્ય માણસ માટે આ બાબત સમજવી અને જીવનમાં ઉતારવી કેટલી મહત્વપૂર્ણ બની જાય છે.

ધારો કે તમે ખૂબ જ મહેનત કરી અને તમારા ઓર્ગેનાઈઝેશનમાં કોઈ સારી પોસ્ટ હાંસલ કરી લીધી છે. હવે મુખ્ય સમય આવે છે એ હોદ્દાને સાચવવાનો કારણ કે તમારી આસપાસ એવા ઘણા બધા મહાન શખ્સો રાહુ અને કેતુની જેમ ગોચર ભ્રમણ કરી રહ્યાં હશે, જેઓ તમને પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહિ રાખે. માની લો કે તમે સંપૂર્ણ લડત આપી અને એમને હંફાવી દીધા, ત્યારે તમને નીચા પાડવા એમની પાસે ફક્ત એક જ બ્રહ્માસ્ત્ર બાકી રહેશે અને એ હશે તમારા કેરેક્ટર પર કલંક. તમારું ચરિત્ર એ તમારી મહેનતની નહિ પરંતુ તમારી મહાનતાની નિશાની છે. તમારું શુદ્ધ ચરિત્ર ઓઝોનના એ સ્તર સમાન છે જે બદનામીરૂપી પારજાંબલી કિરણોની ખતરનાક શક્તિથી પૃથ્વી સમાન તમારા આત્માને અને તમારા અસ્તિત્વને રક્ષે છે. જે દિવસે તમારા ઓઝોન સ્તરમા ગાબડું પડ્યું એટલે કે તમે તમારા કેરેક્ટરમાંથી આઉટ થયા, તમારી પ્રોફેશનલ લાઈફમાં એવું ગ્લોબલ વોર્મિંગ શરૂ થશે કે જે તમને ગ્લોબલી (… બોલે તો દુનિયાના એકેય ખૂણામાં) મોઢુ બતાવવા લાયક નહિ રાખે. ઈન શોર્ટ, તમારું પ્રોફેશનલ લાઈફમાં કેરેક્ટર એટલું ક્લીન હોવું જોઈએ કે તમે જોબ છોડીને ક્યાંય પણ જાઓ અને તમારી જાણ બહાર તમારી ઈન્કવાયરી થાય તો તમારો ફીડબેક ચોખ્ખો ચણાક અને તાજમહેલ જેવો સ્વચ્છ ને સુંદર મળે.

અંગત જીવનમાં આ બાબતનો કોઈ જ વિકલ્પ નથી. ના કોઈ સ્પષ્ટીકરણ કે ન કોઈ સમાધાન. અંગત જીંદગીમાં મળે છે તો બસ ફક્તને ફક્ત સજા, કારણ કે અંગત જીવનમાં ચરિત્ર કરતાં પણ મહત્વપૂર્ણ કોઈ વસ્તુ હોય તો એ છે વિશ્વાસ. વિશ્વાસ તૂટ્યો અને સંબંધોનો શ્વાસ છૂટ્યો. પછી એ વાતો કોઈ જ મહત્વ નહિ રાખે કે તમારી રિલેશનશિપ કેટલા સમય જૂની છે કે તમે અને તમારો પાર્ટનર એકબીજાને જાણે છે કે સમજે છે. તમારો સંબંધ પતિ અને પત્નીનો હોય, મંગેતર અને વાગ્દત્તાનો હોય, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનો હોય કે પછી જસ્ટ ફ્રેન્ડ તરીકેનો હોય… કેરેક્ટર જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.

અન્ય એક સલાહ એ આપવા માંગીશ (અમુક ખાસ એવા લોકો માટે કે જે કદી આ વાતને સ્વીકારવા તો દૂર..સમજવા જ નથી માંગતા) કે દરેક વ્યક્તિને પોતાનો એક ભૂતકાળ હોય છે, કાં તો સારો કાં તો ખરાબ, પણ એ ભૂતકાળ સાથે એને સ્વીકારતા શીખો. દર સોમાંથી અઠ્ઠાણું ટકા વ્યક્તિ એવી હોય છે કે જે ભૂતકાળમાં કોઈને કોઈની સાથે જોડાયેલી હોય છે અને આ જોડાણ એટલું અતૂટ હોય છે કે એને હમ દિલ દે ચુકે સનમના અજય દેવગણની જેમ દરેક જણ માટે સ્વીકારવું સરળ નથી હોતું. એના જ નિરાકરણ રૂપે એક અન્ય સલાહ કે જો તમે કોઈ નવા સંબંધના તાંતણે જોડાવા જઈ રહ્યાં છો તો સામેવાળી વ્યક્તિને તમારા વિશે સંપૂર્ણ જણાવો અને એના વિશે પણ સંપૂર્ણ જાણો. આનું કારણ એ કે કોઈ વ્યક્તિ તમને તમારા ગમે તેવા ભૂતકાળ સાથે સ્વીકારવા તૈયાર છે અને તમે તેને કઈં જ નથી જણાવતા અને ભવિષ્યમાં એ વિશેની કોઈ બાબત અન્ય ત્રીજી વ્યક્તિ દ્વારા એને જાણવા મળે છે, ત્યારે બે વ્યક્તિના સંબંધને જોડતો એ વિશ્વાસરૂપી તાંતણો તૂટી જાય છે અને વવાઈ જાય છે શંકાના બીજ, જે આગળ જતા, વિરહના વટવૃક્ષમાં પરિણમી જાય છે. જો કે એ સમજવું પણ એટલું જ જરૂરી બને છે કે સામેવાળી વ્યક્તિ તમને સત્ય જાણ્યા પછી સ્વીકારી શકશે કે કેમ… કારણ કે લગભગ દરેક વ્યક્તિના ભૂતકાળમાં પોતાના પાર્ટનર સાથે શારિરીક અને માનસિક તમામ પ્રકારના સંબંધો રહ્યાં જ હોય છે, પરંતુ અમુક બુદ્ધિજીવીઓ માટે એ સત્ય ગળે ઉતારવું સરળ નથી હોતું કારણ કે અગાઉ મે કહેલું એમ, મહાદેવ એમ જ નથી બનાતું, ઝેરના ઘૂંટડાં ગળે ઉતારવા પડે છે અને ચારિત્ર્યને સંલગ્ન સત્યરૂપી ઝેરના ઘૂંટડાં દરેક કામદેવના ગળે ઉતરવા સહજ નથી, એ ફક્ત અમુક મહાદેવ જ જીરવી શકે….   .

વધુ આવતા અંકે…. આપનો અમૂલ્ય પ્રતિભાવ આપ નીચે આપેલ કોમેન્ટ સેક્શનમાં ક્લિક કરી જણાવી શકો છો.

sjjs

Share This Article