ચીનથી આવતા લોકો પર ૫ દેશોએ પ્રતિબંધ મૂક્યો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

ઝીરો કોવિડ નીતિ છોડ્યા બાદ ચીનમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. કડક કોવિડ પ્રતિબંધો હટ્યા બાદ એવું અનુમાન છે કે ચાલુ મહિને ત્યાં કેસની સંખ્યા કરોડોમાં પહોંચી શકે છે. તેણે આગામી વર્ષની શરૂઆતમાં ૮ જાન્યુઆરીથી તેની સરહદો ખોલવાનો ર્નિણય કરી લીધો છે. હવે દુનિયાના અન્ય દેશો ચીન માટે દરવાજા બંધ કરી રહ્યા છે. ચીનમાં વધતા સંક્રમણથી સાવચેત થઈ રહ્યા છે. ભારતે ચીનથી આવતા યાત્રીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. અન્ય આંતરરાષ્ટ્રીયના ૨ ટકા રેન્ડમ સેમ્પલિંગ કરાઈ રહ્યા છે. અમેરિકા પણ ચીનથી આવતા લોકો માટે નવા સાવચેતીના ઉપાયો કરી રહ્યું છે. જાપાને ચીનથી આવનારા લોકો માટે કોવિડ નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે. મલેશિયા, ફિલિપાઈન્સ, તાઈવાન પણ ટેસ્ટિંગ જેવા પ્રતિબંધ મૂકી રહ્યા છે.

નિષ્ણાતોને વાઈરસના ઝડપથી ફેલાવાથી નવો વેરિયન્ટ સામે આવવાનો ડર છે. ચીનના કોવિડ કેસના સંક્રમણની વાસ્તવિક સ્થિતિ અને જિનોમ સિક્વન્સિંગના ડેટાના અભાવે તેમની ચિંતા વધી ગઈ છે. ચીને ૩ વર્ષ પછી યાત્રા પ્રતિબંધ હટાવ્યા છે. તેના પછી બહાર જનારા લોકો ઉમટી પડ્યા છે. એક ટ્રાવેલ સાઈટ અનુસાર મંગળવારે બહાર જતી ફ્લાઈટનું બુકિંગ ૨૫૪% વધી ગયું. સૌથી વધુ બુકિંગ સિંગાપોર, તેના પછી દ.કોરિયાનું આવી રહ્યું છે. ચીનમાં કોવિડની ભયંકર લહેરની નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં અર્થતંત્ર પર માઠી અસર થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આગામી વર્ષે ચીનનો ઝડપી અને મજબૂત ગ્રોથ થશે. કોવિડને કારણે ત્રણ વર્ષ બંધ રહ્યા બાદ નેપાળ-ચીન વચ્ચે મુખ્ય વ્યાપારિક માર્ગ કેરુંગ-રસુવાગઢી બુધવારે ખૂલી ગયો. નેપાળથી સામાન લઈને ૬ કાર્ગો ટ્રક ચીન રવાના થયા. નેપાળમાં તાજેતરમાં કમ્યુનિસ્ટ પાર્ટીઓની સરકાર બની છે ત્યાં પણ ચીન સરહદો ખોલી રહ્યું છે.

Share This Article