પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૨૦૦ માછીમારો વતન પરત ફર્યા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૨૦૦ માછીમારો વતન પરત ફર્યા છે. મોડી રાત્રે ટ્રેન મારફતે આ માછીમારો વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. જ્યાં ફૂલોના હાર પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું. અને ત્યારબાદ ૪ બસમાં તેમને વતન રવાના કરવામાં આવ્યા હતા. માછીમારોને ૨ જૂને વાઘા બોર્ડર પર ભારત સરકારના અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. અને ત્યાંથી વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને લેવા માટે મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ વાઘા બોર્ડર ગયા હતા. તેમની સાથે પરત ફરેલા માછીમારોમાં ગીરસોમનાથ જિલ્લાના ૧૨૯, દેવભૂમિદ્વારકાના ૩૧, જૂનાગઢના ૨, નવસારીના ૫, પોરબંદરના ૪, દીવના ૧૫, મહારાષ્ટ્રના ૬, ઉત્તરપ્રદેશના ૫ અને બિહારના ૩ માછીમારોનો સમાવેશ થાય છે. હજુ પણ ૨૦૦થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેમને મુક્ત કરાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

Share This Article