કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલા લેશે :- શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા


વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે :- શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાને રાખીને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ એજન્સી અને સંબધિત અધિકારીને નોટિસની સૂચના આપી હતી; ઇજનેરને બરતરફ કરવામાં આવ્યો છે.
ગુણવત્તા પર ઢીલ લેનારા સામે કડક કાર્યવાહી થશે; એક્શન મોડમાં રાજ્ય શિક્ષણ મંત્રીની કામગીરી શરૂ
જૂનાગઢ જિલ્લાની ખજૂરી હડમતીયા શાળાનો નબળો સ્લેબ તોડવાનો કામ શરૂ
અગાઉ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા તેમજ કામરેજ વિધાનસભાના દેરોદ ગામે નવીન આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે બાંધકામની ગુણવત્તા નબળી જણાતા રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ત્વરિત એક્શન લીધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં ગુજરાતમાં આજે બાળકો ભણી ગણીને આગળ વધી રહ્યા છે, ત્યારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર હરહંમેશ એક્શન મોડમાં કામગીરી કરી રહી છે.
શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે, ગુજરાતની કોઈ પણ શાળામાં બાળકોની સુરક્ષા અને શિક્ષણ બાબતે કોઈ પણ પ્રકારની લાપરવાહી કે લાલીયાવાડી નહીં ચલાવવામાં આવે તેમજ ગુજરાત રાજ્યની શિક્ષણની અંદર ગેરવહીવટ કે ગેરરીતિ ચલાવી લેવાશે નહિ જો કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલા લેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના નબળા બાંધકામના અનુસંધાને તા. ૧૯ માર્ચ ૨૦૨૫ના ગ્રાઉન્ડ ફલોરના સ્લેબનું કાસ્ટીંગના બીજા દિવસે બાંધકામની ગુણવત્તા વિશેની ફરિયાદ ગ્રામવાસીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાને કરવામાં આવી હતી. આ ફરિયાદને ધ્યાને રાખીને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી એ તાત્કાલિક પગલા લેવા સમગ્ર શિક્ષા કચેરી અને સંબધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
મંત્રીશ્રીની ટેલિફોનિક આજ્ઞા પર જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, થર્ડ પાર્ટી ઇજનેર, ટીઆરપી, એજન્સીના પ્રતિનિધિઓએ તેજ દિવસે રાત્રે ૮:૩૦ કલાકે સ્થાનિક આગેવાનો સાથે શાળાના વર્ગખંડની સ્થિતિની સમીક્ષા કરી. તપાસ દરમિયાન બાંધકામની ગુણવત્તા અસંતોષકારક જણાતા, શિક્ષણમંત્રીએ ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટીંગ તોડી નાખવાનો અને નવું બાંધકામ શુરુ કરવાનો આદેશ આપ્યો હતો. સાથેજ એજન્સી અને સંબધિત અધિકારીને નોટિસની સૂચના આપી હતી; ઇજનેરને બરતરફ કરવામાં આવ્યો છે.
રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના ત્વરિત અને કડક કાર્યવાહીને પગલે એજન્સીને ૭ દિવસની અંદર સ્લેબ તોડવાની પ્રક્રિયા શરૂ કરવા તેમજ તોડફોડ દરમિયાન સલામતીની સંપૂર્ણ તકેદારી રાખવા અને કામગીરીની ફોટોગ્રાફ્સ સાથે અહેવાલની નોંધ લઈ ગાંધીનગર કચેરીમાં રજૂ કરવા જણાવ્યું હતું. શિક્ષણ મંત્રીશ્રીએ શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પારદર્શિતા અને જવાબદારીનો સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, રાજ્યમાં જે સ્થળોએ શાળાનું કામ નબળું થશે, ત્યાં આ જ પ્રકારે બાંધકામ તોડીને પાડવામાં આવશે તેમજ તે કિસ્સાઓમાં જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આજે શિક્ષણ મંત્રી શ્રીની સૂચના પ્રમાણે જુનાગઢની ખજુરી હડમતીયા શાળાના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટીંગ તોડી નવેસરથી બાંધવાનું કામ શાળા સંચાલન સમિતિ અને સ્થાનિક તંત્રની દેખરેખ હેઠળ આ કામગીરી ઝડપભેર ચાલી રહી છે. નવો સ્લેબ બંધાયા બાદ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વધુ સલામત અને આરામદાયક શૈક્ષણિક માહોલ ઉભો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા તેમજ કામરેજ વિધાનસભાના દેરોદ ગામે નવીન આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે બાંધકામની ગુણવત્તા નબળી જણાતા ત્વરિત એક્શન લઈને બાંધકામ તોડાવીને ગુણવત્તાસભર બાંધકામના આદેશ આપ્યા હતા.