અમદાવાદ : ૧૦ દિવસમાં ટાઇફોઇડના ૯૦ કેસો થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

 

અમદાવાદ :  અમદાવાદ સહિત રાજ્યભરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. ખાનગી હોસ્પિટલની સાથે આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવે તો મચ્છરજન્ય કેસોમાં માત્ર નવેમ્બર મહિનામાં જ સાદા મેલેરિયા, ઝેરી મલેરિયા, ડેંગ્યુના કેસો નોંધાયા છે. સાદા મેલેરિયાના ૩૭ કેસો સપાટી ઉપર આવ્યા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૧૬ અને ડેંગ્યુના ૨૧ કેસ નોંધાઈ ચુક્યા છે. નવેમ્બર ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૧૫૯૦૧૫ લોહીના નમૂનાની સામે ૧૦મી નવેમ્બર ૨૦૧૮ સુધીમાં ૧૯૪૩૬ લોહીના નમૂનામાં તપાસ કરવામાં આવી ચુકી છે. નવેમ્બર ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૩૬૦૭ સિરમ સેમ્પલની સામે ૧૦મી નવેમ્બર ૨૦૧૮ સુધીમાં ૪૦૫ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે.

પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના ૧૦ દિવસના ગાળામાં જ ૮૦ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે. જ્યારે કમળાના ૬૫ અને ટાઇફોઇડના ૯૦ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કોલેરાના કેસોને કાબૂમાં લેવા પગલા લેવાઈ રહ્યા છે. જુદા જુદા વિસ્તારમાં હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે. જેમાં ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવી ચુક્યા છે. ઓક્ટોબર ૨૦૧૮માં ૨૯૩ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે જેમાંથી ૨૩ નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે. ૨૧૬ નમૂના પ્રમાણિત જાહેર થયા છે. ૫૩ નમૂના તપાસના બાકી રહ્યા છે. ૧૦મી નવેમ્બર ૨૦૧૮ સુધી ૪૬ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે.

Share This Article