નવજાેત સિંહ સિદ્ધુ જેલમાં કલાર્કની નોકરી કરશે

News KhabarPatri
3 Min Read

નવજાેત સિંહ સિદ્ધુ હાલ ૩૪ વર્ષ જૂના રોડ રેજ કેસ મામલે એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. ત્યારે જેલમાં તેમને ક્લેરિકલ કામ માટે સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નવજાેત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે. જેલ અધિકારીઓએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે મંગળવારથી જ સિદ્ધુએ જેલમાં પોતાનું કામ શરુ કરી દીધું છે.

રિપોર્ટ્‌સ અનુસાર સિદ્ધુ બે શિફ્ટમાં આ કામ કરશે. જેમાં પહેલી શિફ્ટ સવારે ૯થી બપોરના ૧૨ સુધી અને બીજી બપોરના ૩થી ૫ સુધી હશે. જેલના નિયમો અનુસાર પ્રથમ ત્રણ મહિના સુધી કોઈપણ વેતન વિના ટ્રેનિંગ આપવામાં આવશે. જે બાદ તેમને અકુશળ, અર્ધ કુશળ અને કુશળ કેદીની શ્રેણીએ રાખવામાં આવશે. જે બાદ કેટેગરીના આધારે તેમને ૩૦થી ૯૦ રૂપિયાની વચ્ચે પગાર મળી શકે છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પંજાબ જેલના એક અધિકારીએ જણાવ્યું કે સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ તેમની તબિયત સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખતા તેમને પેપર વર્કનું કામ આપવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે તેઓ નોકરી કરતી વખતે જેલ રેકોર્ડ જાળવવામાં મદદ કરશે. મહત્વનું છે કે, મેડિકલ બોર્ડની ભલામણ પર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નવજાેત સિંહ સિદ્ધુને જેલમાં વિશેષ આહાર લેવાની મંજૂરી આપી છે.

સિદ્ધુના વકીલ એચપીએસ વર્માએ જણાવ્યું કે સિદ્ધુ ખરાબ સ્વાસ્થ્ય અને એલર્જીનો સામનો કરી રહ્યા છે. તેઓ ઘઉંની રોટલી, તેલયુક્ત ખોરાક અને ચાનું સેવન કરી શકતા નથી. જેના કારણે તેઓને વિશેષ આહારની મંજૂરી આપવી જાેઈએ. સિદ્ધુને લીવરની સમસ્યા ગ્રેડ ૩ અને એમ્બોલિઝમ પણ છે. તેમણે સપોર્ટિંગ રેકોર્ડ્‌સ સાથે કોર્ટમાં સિદ્ધુની મેડિકલ હિસ્ટ્રી પણ રજૂ કરી હતી.

વર્માએ કહ્યું કે સિદ્ધુ લોહી જાડું થવાની સમસ્યાની સાથે દવાઓ ન લઈ શક્યા, કારણ કે તેમને વિશેષ આહારની જરૂર હતી. ૨૭ ડિસેમ્બર, ૧૯૮૮ના રોજ પાર્કિંગની બાબતે પટિયાલાના નિવાસી ગુરુનામ સિંહ સાથે નવજાેત સિંહ સિદ્ધુનો ઝઘડો થયો હતો. જે દરમિયાન સિદ્ધુ અને તેના દોસ્ત રુપિન્દર સિંહ સંધુએ કથિત રીતે ગુરુનામ સિંહને તેમની કારમાંથી બહાર ખેંચીને માર માર્યો હતો.

જે બાદ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. ત્યારબાદ એક સાક્ષીએ સિદ્ધુ પર ગુરુનામ સિંહના માથે હુમલો કરીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને ૧૯૯૯માં એક સ્થાનિક કોર્ટે પૂરાવાના અભાવે સિદ્ધુને છોડી મૂક્યા હતા, પરંતુ ૨૦૦૬માં હાઇકોર્ટે તેમને દોષી કરાર આપીને ૩ વર્ષની સજા ફટકારી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *