અમદાવાદ : નવી દિલ્હી ખાતે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ માટામેલા સિરિલ રામાફોસાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વા૩રા ઐતિહાસિક દાંડીયાત્રા વિષયક ટેબ્લો રજૂ કરીને પૂજ્ય બાપૂને કાર્યાંજલી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્ર અત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિ ઉજવી રહ્યું છે ત્યારે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પટેલમાં રજૂ થનાર ટેબ્લોના વિષયને પૂજ્ય બાપૂના જીવન કવન સાથે વણી લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનને ભારતના સંરક્ષણ મંત્રાલય અને તમામ રાજ્યોએ વધાવી લીધું હતું જેના પરિણામ સ્વરુપે આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ગાંધીજીએ દેશભરમાં કરેલા કાર્યોની સ્મૃતિ નવી દિલ્હીના રાજમાર્ગ ઉપર તાજી થશે. પૂજ્ય બાપુની ઐતિહાસિક દાંડીયાત્રાને ટેબ્લો દ્વારા રાજધાનીના માર્ગો ઉપર સજીવન કરાશે. એ જ પ્રમાણે દેશના અન્ય રાજ્યમાં પણ તેમના રાજ્યમાં ગાંધીજીના કાર્યોને વણી લેતા પ્રસંગો ટેબ્લોમાં પ્રસ્તુત કરાશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં નિકળેલા ઐતિહાસિક દાંડીયાત્રા ભારતના સ્વતંત્ર સંગ્રામમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી જ્યારે ગુજરાતના સમદ્ર તટના હજારો ગરીબ પરિવારોને રોજગારી-રોટી આપવા વાળા મીઠાના ઉત્પાદન પર અંગ્રેજાએ ગેરકાનૂનીરીતે, બળજબરીપૂર્વક ટેક્સ વસુલીનો નિર્ણય લીધો ત્યારે પૂજ્ય બાપુએ અંગ્રેજા સામે અવાજ ઉઠાવ્યો અને સાબરમતી આશ્રમથી ઐતિહાસિક કૂચ કરી દાંડી ખાતે એક મુઠ્ઠીમાં મીઠુ ઉપાડીને સવિનય કાનૂન ભંગ કરીને દેશની સ્વતંત્રતા ચળવળને એક નવી દિશા આપી હતી. આ ઐતિહાસિક દાંડીયાત્રાએ અંગ્રેજાને ભારત છોડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. દિલ્હીના રાજમાર્ગો પરથી દબદબાભેર પસાર થનાર રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત તરફથી રજૂ થનાર આ ટેબ્લોમાં આઘળના ભાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (મોહનદાસ કરમચંદ ગાંધી)ની અતિ દુર્લભ બાલ્યકાળની પ્રતિમા અને પોરબંદર સ્થિત પૂજ્ય બાપુનું જન્મ સ્થાન કીર્તિ મંદિર આબેહુબ રજૂ કરવામાં આવ્યું છે.
ટેબ્લોના બીજા ભાગની શરૂઆતમાં દાંડીયાત્રા સાબરમતી આશ્રમથી દાંડી પુલ થઇને દાંડીના સમુદ્ર કિનારે પહોંચીને મીઠુ ઉપાડી સવિનય કાનૂન ભંગ કરતા પૂજ્ય બાપૂને દર્શાવવામાં આવ્યા છે. આ યાત્રા શરૂ કરતા પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે વિચારવિમર્શ કરીને દાંડીયાત્રાને અંતિમ સ્વરુપ આપ્યું હતું. ઐતિહાસિક દાંડીયાત્રાની સફળતાથી ગભરાયેલ અંગ્રેજ સલ્તનતે પૂજ્ય બાપૂને જેલમાં બંધ કરી દીધા હતા તે પણ ટેબ્લોના અંતિમ ભાગમાં દર્શાવવામાં આવ્યું છે.