ગાંધીનગરમાં લાગણીસભર સેવા: 250 વડીલોને વિશેષ ભોજન, ઉદગમ ટ્રસ્ટે દિલ જીતી લીધું

Rudra
2 Min Read

ગાંધીનગર: તાજ ગાંધીનગર રિસોર્ટ્સ એન્ડ સ્પાના CSR ઉપક્રમ હેઠળ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કૈલાશધામ વૃદ્ધાશ્રમ ખાતે એક અનોખું અને લાગણીસભર સેવા કાર્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિવિધ વૃદ્ધાશ્રમોમાં નિવાસ કરતા આશરે 250 વડીલો માટે વિશેષ ભોજન સેવા યોજાઈ હતી.

ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને સામાજિક સેવા ક્ષેત્રે સતત કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતાં આવા સેવાકાર્યો સમાજમાં કરુણા, સહાનુભૂતિ અને એકતાની ભાવના મજબૂત બનાવે છે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર વડીલોને ભોજન પૂરું પાડવાનો નહોતો, પરંતુ તેમને સ્નેહ, માન અને લાગણીનો અનુભવ કરાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વડીલોને પોષણયુક્ત, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવ્યું હતું, જેમાં તેમના આરોગ્યને ધ્યાનમાં રાખી સંતુલિત આહાર તૈયાર કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકો વડીલો સાથે સમય વિતાવ્યો, તેમની વાતો સાંભળી અને તેમને પરિવાર જેવી લાગણી અપાવી. ઘણા વડીલો માટે આ ક્ષણો ખૂબ જ ભાવુક અને આનંદદાયક રહી, કારણ કે તેમને માત્ર ભોજન નહીં પરંતુ માન-સન્માન અને સ્નેહનો પણ અનુભવ થયો.

ઉદગમ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. મયુર જોષીએ જણાવ્યું હતું કે, “સમાજના વડીલો આપણાં માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓએ આખું જીવન સમાજને સમર્પિત કર્યું છે, અને હવે તેમની સેવા કરવી એ આપણી જવાબદારી છે. જો આવા પ્રયાસો દ્વારા અમે તેમની જીવનમાં થોડું સુખ લાવી શકીએ, તો એ જ અમારું સાચું પુરસ્કાર છે.” તેમણે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પાનો આ સેવા કાર્યમાં સહયોગ આપવા બદલ આભાર માન્યો.

તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પાના પ્રતિનિધિઓએ પણ જણાવ્યું કે સામાજિક જવાબદારી નિભાવવી દરેક સંસ્થાનો ધર્મ છે અને ઉદગમ ટ્રસ્ટ સાથે જોડાઈ આ સેવા કાર્યમાં ભાગ લેતા તેમને ગર્વ અનુભવાય છે.

આ પ્રસંગે ડૉ. મયુર જોષી, દીપાંશ છાબડા, મનીષાબેન ત્રિપાઠી, ભૂમિબેન જોગાણી અને વીણાબેન વોરા સહિતના સભ્યોએ વડીલોને પ્રેમપૂર્વક ભોજન પીરસ્યું હતું. કાર્યક્રમ અંતે વૃદ્ધાશ્રમના વડીલોએ આ સેવાકાર્ય બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો અને આશીર્વાદ આપ્યા. તેમના ચહેરા પરનો આનંદ આ સમગ્ર આયોજનની સફળતાનો સાક્ષી બની રહ્યો.

Share This Article