જૂનાગઢ : 21મી સદીમાં પણ અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં હજુ આઝાદી પહેલાંની અનોખી પરંપરા જળવાઈ રહી છે. જૂનાગઢમાં એક એવું ગામ છે જ્યાં હોળીના બીજા દિવસે ‘રા’ ઉત્સવ ઉજવાય છે, જેમાં જેના ઘરે સંતાનપ્રાપ્તિ થયેલ હોય તે વ્યક્તિ ગધેડા ઉપર બેસીને આખા ગામમાં ફરે છે. આવો જોઈએ કઈ રીતે ઉજવાય છે ‘રા’ ઉત્સવ.
જૂનાગઢના ધંધુસર ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ જળવાઈ રહી છે. હોળીના બીજા દિવસે આ ગામમાં ‘રા’ ઉત્સવ ઉજવવામાં આવે છે. જે પરિવારમાં દીકરાના ઘરે સંતાન ન હોય તેઓ માનતા રાખે છે અને સંતાનપ્રાપ્તિ થાય છે ત્યારે તે વ્યક્તિ હોળીના બીજા દિવસે આ ઉત્સવમાં ગધેડા પર બેસીને આખા ગામમાં ફરે છે. તે વ્યક્તિના મોઢા ઉપર અબીલ-ગુલાલ છાંટવામાં આવે છે અને હાથમાં તલવાર લઈને ગધેડા પર બેસી આખા ગામમાં લગ્નના વરઘોડાની માફક વાજતે-ગાજતે ફેરવવામાં આવે છે.
‘રા’ ઉત્સવ ફક્ત અમુક ગ્રામ્ય પંથકમાં જોવા મળતો હોય છે અને ધંધુસર ગામમાં આજે પણ આ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આ ઉત્સવ ઉજવવા દૂર દૂરથી લોકો પોતાના વતન આવ્યા છે. આજે ગામના નવયુવાનો સહિતનાઓ ‘રા’ બન્યા હતા. સાથે ગામના એક રહેવાસી અને કરોડોની સંપત્તિ ધરાવતા એક ઉદ્યોગપતિએ પણ સંતાનપ્રાપ્તિ માટે માનતા રાખી હતી. ત્યારે તેના ઘરે ત્રણ દીકરીઓ પછી દીકરાનો જન્મ થતાં આજે આ કરોડપતિ પણ ગધેડા પર બેસીને આખા ગામમાં ફરી વડીલોના આશીર્વાદ લીધા હતા.
આમ જૂનાગઢના ધંધુસર ગામે વર્ષો જૂની પરંપરા હજુ પણ જીવંત છે અને આ પરંપરાને જીવંત રાખવા માટે નવયુવાનો પણ સારો એવો સાથ સહકાર આપી રહ્યા છે. સવારથી બપોર સુધી આ ફુલેકું ગામમાં ફરે છે અને બપોરે ગામલોકો સાથે મળીને ભોજન કરીને છૂટા પડે છે. આ રીતે ધંધુસર ગામમાં ધુળેટી પર્વ નિમિત્તે ‘રા’ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
