પહલગામમાં આતંકી હુમલાના પગલે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સજ્જડ બંધનું એલાન

Rudra
By Rudra 2 Min Read

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલાના પગલે લગભગ ૩૫ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ર્નિદયી હુમલામાં અનેકના મોતના પગલે પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર કાર્યવાહી કરવાની માગ સાથે દેખાવો કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગના લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે. સરકાર સમક્ષ આકરી કાર્યવાહી કરવાની માગ સાથે દેખાવો કરી રહ્યા છે.

શ્રીનગરમાં મોટાભાગના દુકાનો, ફ્યુલ સ્ટેશન, અને અન્ય વેપાર-ધંધાઓ બંધનું પાલન કરી રહ્યા છે. શહેરમાં માત્ર જરૂરી ચીજવસ્તુઓની જ દુકાનો ખુલ્લી છે. જાહેર પરિવહન સેવા અમુક વિસ્તારોમાં ચાલુ છે. જ્યારે અમુક જગ્યાએ બંધ છે. ખાનગી વાહનો ચાલુ છે. ખાનગી શાળાઓ બંધ છે, જ્યારે સરકારી શાળાઓ ચાલુ છે. શ્રીનગર સહિત કાશ્મીરના ફરવાલાયક તમામ સ્થળો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

કાશ્મીર ખીણમાં સ્થાનિકો દ્વારા શાંતિપૂર્ણ દેખાવો થઈ રહ્યા છે. આ હુમલામાં અત્યારસુધીમાં લગભગ ૨૮ લોકોના મોત થઈ ચૂક્યા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. જેનાથી સમગ્ર ભારતમાં શોકનો માહોલ સર્જાયો છે. લોકોએ દોષિતોને આકરીથી આકરી સજા આપવાની માગ કરી છે. અનેક રાજકીય દળો, સામાજિક-ધાર્મિક સંગઠનો, વેપાર સંગઠનો અને નાગરિકોએ કાશ્મીર બંધને સમર્થન આપ્યું છે.

૩૫ વર્ષમાં પહેલી વખત કાશ્મીરમાં વેપાર-ધંધા સંપૂર્ણપણે બંધ રહ્યા છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, કાશ્મીર ટ્રેડર્સ, અને મેન્યુફેક્ચરર્સ ફેડરેશને આ બંધને સમર્થન આપી રહ્યા છે. પીડિતો સાથે સંવેદના વ્યક્ત કરતાં કાશ્મીર યુનિવર્સિટીએ હાલ ચાલી રહેલી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી છે.

પહલગામમાં મંગળવારે સાંજે થયેલા પ્રવાસીઓ પરના મોટા આતંકી હુમલા બાદ કાશ્મીરમાં ચારેકોર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી છે. પ્રત્યેક સ્થળોએ સેનાના જવાનો ફરજ બજાવી રહ્યા છે. ચેકિંગ પોઈન્ટ્સ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ વાહનો અને અવરજવર કરતાં લોકોની તપાસ થઈ રહી છે. પહલગામની બૈસરન ઘાટીમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Share This Article