એનઆરસીઃ ધાંધલધમાલ હજુય જારી, કામગીરી સ્થગિત થઇ ગઇ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હીઃ  રાજ્યસભામાં આજે પણ ભારે ધાંધલ ધમાલ જારી રહી હતી જેના પરિણામ સ્વરુપે કોઇ કાર્યવાહી થઇ શકી ન હતી. આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રારના મુદ્દા પર અમિત શાહના નિવેદન પર ભારે ધાંધલ ધમાલ થઇ હતી.

વિપક્ષી સાંસદોએ પહેલા અમિત શાહ અને ત્યારબાદ સરકારના પક્ષ માટે ઉભા થયેલા રાજનાથસિંહને પણ બોલવાની તક આપી ન હતી. વિપક્ષી સભ્યોએ ગૃહની વચ્ચોવચ પહોંચી જઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી હતી. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી ગુરુવાર સુધી મોકૂફ કરી દેવામાં આવી હતી.

આજે કાર્યવાહી શરૂ થતાંની સાથે જ સ્થિતિમાં કોઇ સુધારો થયો ન હતો. રાજ્યસભાની  કાર્યવાહી આજે શરૂ થતાની સાથે જ ભારે ધાંધલ ધમાલ શરૂ થઇ ગઇ હતી. આજે કાર્યવાહી શરૂ થતાની સાથે જ એનઆરસીના મુદ્દા પર હોબાળો શરૂ થયો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના નિવેદનને લઇને હોબાળો જારી રહ્યો હતો.

કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ અમિત શાહના નિવેદનના કેટલાક  હિસ્સાને દુર કરવા માટેની માંગ કરી હતી. રાજીવ ગાંધી બાદના પીએમના સાહસને લઇને કરવામાં આવેલી ટિપ્પણીને રેકોર્ડ પરથી દુર કરવા માટે શર્માએ માંગ કરી હતી.

આજે કાર્યવાહી શરૂ થતાંની સાથે જ આનંદ શર્માએ આ મામલો ઉઠાવ્યો હતો. આનંદ શર્માએ કહ્યું હતું કે, રાજીવ ગાંધી બાદ નરસિંહા રાવ, દેવગૌડા, અટલ બિહારી વાજપેયી, મનમોહનસિંહ જેવા સન્માનિત વડાપ્રધાન થયા છે. અમિત શાહના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કહ્યું હતું કે, એક સભ્યએ આ વડાપ્રધાનને નબળા વડાપ્રધાન ગણાવ્યા છે અને એમ કહ્યું છે કે, તેમની અંદર હિંમત ન હતી.

આનંદ શર્માએ કહ્યું હતું કે, અમે આની નિંદા કરીએ છીએ અને રેકોર્ડ પરથી દૂર કરવાની માંગ કરીએ છીએ. અધ્યક્ષ વેકૈયા નાયડુએ પરંપરાનો હવાલો આપીને અમિત શાહને નિવેદન પૂર્ણ કરવા આમંત્રણ આપ્યુ હતુ. જો કે ધાંધલ ધમાલ જારી રહી હતી. ગઇકાલે મંગળવારના દિવસે પણ આ મુદ્દે વારંવાર કાર્યવાહી મોકુફ કરવામાં આવી હતી.

અગાઉ અમિત શાહે ગઇકાલે રાજ્યસભામાં કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અમારામાં હિંમત હતી જેથી અમે આ કામ કરી શક્યા છીએ. કોંગ્રેસ પાર્ટી દ્વારા બિનજરૂરી હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા આની પહેલ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ જ કરી હતી. કોંગ્રેસની પાસે આસામ સમજૂતિને લાગૂ કરવાની હિંમત ન હતી. ભાજપ સરકારે હિંમત દર્શાવીને આ કામ કર્યું છે. એનઆરસીના વિરોધને દેશમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓને બચાવવાના પ્રયાસ કરી રહી હોવાનું જણાવીને આની ટીકા કરી હતી.

Share This Article