મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઇઝરાયેલ પ્રવાસમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની ફળદાયી શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રીની ૪પ મિનિટથી વધુ લંબાણ પૂર્વકની આ મૂલાકાત બેઠક દરમિયાન કૃષિ, સાયબર સિકયુરિટી, વોટર મેનેજમેન્ટ અને ઇનોવેશન્સના ક્ષેત્રોમાં વધુ સહકારની દિશામાં ફળદાયી ચર્ચા-વિમર્શ થયો હતો.
ઇઝરાયેલના વડાપ્રધાને આ સહકારના ક્ષેત્રોને વધુ સાતત્યપૂર્ણ બનાવવાના હેતુથી વિચાર-વિનિયોગ પ્રોત્સાહન માટે જોઇન્ટ વર્કિંગ ગૃપની રચના માટેનું પ્રેરક સૂચન કર્યું હતું. તેનો વિજયભાઇ રૂપાણીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નેતાન્યાહૂ સાથેની ચર્ચા-વિમર્શમાં કહ્યું કે, ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચે કૃષિ તથા ઇનોવેશન ક્ષેત્રમાં સહયોગની વિપૂલ સંભાવનાઓ છે તેનો ફાયદો ખેડૂતો અને યુવાઓને મોટા પ્રમાણમાં મળી શકે તેમ છે.
ઇઝરાયેલ પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં ઇઝરાયેલના સાયબર એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામનો લાભ ગુજરાતના યુવાનોને આપી શકાય તે માટે મુખ્યમંત્રી સાથે આ માટેની કાર્યયોજના અંગે વિગતે પરામર્શ કર્યો હતો. આ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ અન્વયે બેય પ્રદેશો સાથે મળીને ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્પોન્સર કરી પ થી ૧૦ સપ્તાહના એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ અન્વયે ઇઝરાયેલની ઉચ્ચત્તમ ટેકનોલોજીનો લાભ ગુજરાતના યુવાનોને મળશે.આ પ્રોગ્રામ ટેકનોલોજી ટ્રાન્સફર પ્રક્રિયાને વેગવાન બનાવી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ રોજગાર અવસરો પણ ઊભા કરશે.
ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતાન્યાહૂએ જળ વ્યવસ્થાપનના ક્ષેત્રે ગુજરાત સાથે ગહન સહભાગિતાથી કામ કરવાની ખાતરી આપી હતી. તેમણે ગુજરાત અને ઇઝરાયેલ બેય તરફના ઊદ્યોગ સાહસિકોના માધ્યમથી શ્રેષ્ઠ અને વ્યાપક પ્રમાણમાં ટેકનોલોજી ટ્રાન્સફરની બાબતે ખાસ ભાર મૂકયો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બેઠક દરમિયાન ઈઝરાયેલના પ્રધાનમંત્રીશ્રીને જણાવ્યું કે ઇઝરાયેલે ઓછા કુદરતી પાણી સ્ત્રોત વચ્ચે પણ રિસાયકલ્ડ વોટર-ડિસેલીનેશન વોટરથી પાણી જરૂરિયાત સંતોષી કરેલી કૃષિ ક્રાંતિ ગુજરાત માટે પથદર્શક બનશે. તેમણે ગુજરાતમાં રિ-યુઝ ઓફ ટ્રિટેડ વેસ્ટ વોટર પોલિસી તેમજ ૧૦ જેટલા ડિસેલીનેશન પ્લાન્ટસની સ્થાપનાની વિગતો આપી હતી.
વિજયભાઇ રૂપાણીએ ઇઝરાયેલે ટપક સિંચાઇ, ડિજિટલ ફાર્મિંગ, રીયલટાઇમ મોનીટરીંગ, સ્માર્ટ એનાલિસીસ જેવા કૃષિક્રાંતિના અભિગમો અપનાવીને ભૌગોલિક વિપરીત પરિસ્થિતિમાં પણ મહત્તમ પાક ઉત્પાદન મેળવ્યું છે તેના એક્ષપિરીયન્સ શેરિંગથી ગુજરાતમાં ખેતી અને ખેત ઉત્પાદન ક્ષેત્રે નવા આયામો સર્જવામાં અને ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રીના લક્ષ્યને પાર પાડવા ઇઝરાયેલની તેમની આ પ્રવાસ મુલાકાત પરિણામદાયી બનશે તેમ પણ ઇઝરાયેલ પ્રધાનમંત્રીને જણાવ્યું હતું.
ઇઝરાયેલ પ્રધાનમંત્રી નેતાન્યાહૂએ તેમની જાન્યુઆરી-ર૦૧૮ની ભારત અને ગુજરાત મૂલાકાત અત્યંત સૌહાર્દપૂર્ણ અને અવિસ્મરણીય રહી હતી તેનો વિશેષ ઉલ્લેખ કરતાં ગુજરાતના નાગરિકોએ તેમને જે ઉષ્માભર્યો આવકાર અને આતિથ્ય આપ્યું તે માટે હ્રદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.
પોતાની ગુજરાત યાત્રાના સંસ્મરણો વાગોળતા ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘‘અમે ભારત અને ઇઝરાયેલ વચ્ચેના આ જોડાણમાં વિશ્વાસ ધરાવીએ છીએ અને આ વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઇઝરાયેલ યાત્રાથી ખુબ વધી ગયો છે. ગુજરાતના પ્રવાસથી મને અત્યંત ખુશી થઇ છે અને આજે ગુજરાત ઇઝરાયેલમાં આવ્યું છે તેનો પણ આનંદ છે.’’

















