ઈજામાંથી સ્વસ્થ થઈને પુનરાગમન માટે સજ્જ થઈ રહ્યો છે જસપ્રિત બુમરાહ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઈગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ મેચ રમવાની છે. આ મેચ ૭ જૂનથી ૧૧ જૂન સુધી રમાશે. આ મેચ માટે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડી ઈગ્લેન્ડ પહોચી ગયા છે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ સજ્જ થઈ રહ્યો હોવાના સમાચાર વહેતા થયા છે. જસપ્રિત બુમરાહ ટૂંક સમયમાં પુનરાગમન કરે તેવી શક્યતા હવે પ્રબળ બની ગઈ છે. બુમરાહ છેલ્લા કેટલાક સમયથી ઇજા સામે ઝઝુમી રહ્યો છે. જસપ્રિત બુમરાહ અંતિમ વખત મેદાન પર ગયા વર્ષે જોવા મળ્યો હતો પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અગાઉ બુમરાહે પોતાની ઇજા પર એક અપડેટ આપ્યું છે. બુમરાહે ઈસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે જેમાં પુનરાગમનના સંકેત આપ્યા છે, તેને એક જૂતાની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે હેલો મિત્રો, આપણે ફરી મળી રહ્યા છીએ.

જસપ્રિત બુમરાહની આ પોસ્ટ પછી અટકળો લાગી રહી છે કે તે ઝડપથી મેદાનમાં પુનરાગમન કરી શકે છે. જસપ્રિત બુમરાહની ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં પીઠની સર્જરી થઇ હતી. આ સર્જરી ક્રાઇસ્ટચર્ચમાં ફોર્ટ ઓર્થોપેડિક્સ હોસ્પિટલના એક જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ. રોવન સ્કાઉટને કરી હતી. બુમરાહને સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા છ મહિના લાગશે. માનવામાં આવી રહ્યુ છે કે આ વર્ષના અંતમા યોજાનારા આઇસીસી વન ડે વર્લ્ડકપ ૨૦૨૩ સુધી જસપ્રિત બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત આવી શકે છે. જસપ્રિત બુમરાહે ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધી ૩૦ ટેસ્ટ મેચ, ૭૨ વન ડે અને ૬૦ ટી-૨૦ મેચ રમી છે, તેણે ટેસ્ટમાં ૧૨૮ વિકેટ, વન ડેમાં ૧૨૧ વિકેટ અને ટી-૨૦માં ૭૦ વિકેટ ઝડપી છે. તે ભારતના સૌથી સફળ બોલરમાંથી એક છે. બુમરાહે જુલાઇ ૨૦૨૨માં ઈગ્લેન્ડ પ્રવાસ બાદ કમરના સ્ટ્રેસ ફ્રેક્ચરનો સામનો કરવો પડ્યો હતો. આ ઇજાને કારણે તે સતત ટીમની બહાર થઇ રહ્યો હતો.

Share This Article