ઓનલાઇન એનએમાં દસ દિવસમાં નિકાલના હુકમો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  ગુજરાત રાજ્યમાં એનએની કામગીરી હવે ઓનલાઈન થતા તેની સંપૂર્ણ પ્રક્રિયા હવે ૯૦ દિવસના બદલે માત્ર ૮થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક જિલ્લા કલેક્ટર્સને બહુ મહત્વના નિર્દેશ કર્યા છે. જા મુખ્યમંત્રીની આ સૂચનાનો અમલ થશે તો, એનએની જટિલ, લંબાણપૂર્વકની અને વિલંબિત પ્રક્રિયા ઘણી ઝડપી અને સરળ બની જશે. મુખ્યમંત્રીએ રાજયના જિલ્લા કલેકટરો સાથે વિવિધ મુદ્દાઓને લઇ આજે યોજાયેલી બેઠકમાં ૯૬ અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને ઇનપૂટ સબસીડી માટેની પ્રક્રિયામાં ગતિ લાવવા પણ સત્તાધીશોને સ્પષ્ટ તાકીદ કરી હતી.

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતેથી સીએમ ડેશબોર્ડની કમાન્ડ કંટ્રોલ વોલના માધ્યમથી જિલ્લા કલેક્ટર્સ સાથે ઓનલાઇન એનએ સાથે અછત, પાણી-ઘાસચારો, અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને ઇનપૂટ સબસિડી સહાય તેમજ ગરીબ કલ્યાણ મેળા અને ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા સહિતના વિવિધ મુદ્દાઓ પર સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ તમામ જિલ્લા કલેક્ટર્સ વચ્ચે એનએ ઓનલાઇન ઝડપી નિકાલની સ્પર્ધા થાય તેવું વાતાવરણ બનાવી પેન્ડન્સી લેવલ ઝડપથી નીચું લાવવા જણાવ્યું હતું.

આવી પરવાનગી માટેની અગાઉની ૯૦ દિવસની ટાઇમ લીમીટ-સમયમર્યાદા હવે ટેકનોલોજીના ઉપયોગ અને સંપૂર્ણ પારદર્શીતાથી માત્ર ૮ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ બહુ મહત્વની સૂચના આપી હતી. આ ઉપરાંત રાજ્યના ૯૬ અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને ઇનપૂટ સબસીડી માટેની પ્રક્રિયામાં ગતિ લાવવા સૂચવતાં તેમણે કહ્યું કે, તા.પ જાન્યુઆરી પહેલાં આવી સબસિડીના ફોર્મ એકત્ર કરી રાજ્ય સરકારે જાહેર કરેલા હેકટર દિઠ સહાયના ધોરણે ચૂકવણીની પ્રક્રિયા ઝડપી બનાવવાની રહેશે. તેમણે અછતગ્રસ્ત જિલ્લા તાલુકાઓમાં પશુધન માટે ઘાસચારો, મનરેગાના કામો અને સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની સ્થિતી અંગે પણ વિસ્તૃત ચિતાર મેળવ્યો હતો. જયારે તા.૩ જાન્યુઆરીથી શરૂ થનારાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા કલેક્ટર્સને લાભાર્થીઓની યાદી અને સહાય-સાધન વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શીતાથી ગોઠવવા માર્ગદર્શન આપ્યું હતું.

Share This Article