મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રીએ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા હતા. ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025 ની વસ્તી ગણતરી પ્રમાણે 891 સિંહ વિહરે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં વન્યજીવ ખાસ કરીને સિંહના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાઈનની અમલવારી કરવામાં આવી છે. જે સિંહોના સંરક્ષણ માટે બહુ આયામી સંરક્ષણ શૃંખલાને સાર્થક કરે છે. ગીર સફારી પાર્ક અને સંલગ્ન વિસ્તારમાં હાલ પ્રવાસીઓના જંગલ મુલાકાત અને વન્ય જીવ દર્શનના 13 રુટ કાર્યરત છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ત્રીજી માર્ચની વાઇલ્ડ લાઇફ દિવસની ઉજવણી અંતર્ગત તેમની મુલાકાત બાદ ગીરમાં પ્રવાસીઓનો વધારો થયો છે જેને કારણે રોજગારીની તકો પણ વધી છે. મુખ્યમંત્રીને સાસણના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે સાસણમાં વન વિભાગ દ્વારા સિંહ અને વન્યજીવોના સંરક્ષણની કામગીરીની માહિતી આપી હતી. મુખ્યમંત્રીની ગીરની મુલાકાત દરમિયાન વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
