માર્ચ મહિનો એ નાણાંકીય વર્ષનો છેલ્લો મહિનો ગણાય છે. જેમાં દરેક ક્ષેત્રે વિવિધ કામો પૂરા કરવાની કે પૂરા કરી જ દેવા પડે એવી સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આપના માટે એ જાણવું જરૂરી રહેશે કે આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સતત ચાર દિવસો સુધી બેંકનું કામકાજ બંધ રહેશે. આ ચાર દિવસો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની ઓફિસોમાં પણ રજાઓ રહેશે.
આ મહિનાના અંતે તારીખ 29 માર્ચે ભગવાન મહાવીર જયંતી, તારીખ 30મી માર્ચે ખ્રિસ્તી સમુદાયનો મુખ્ય તહેવાર એવો ગુડ ફ્રાઈડે છે, જેના કારણે પણ બે દિવસ એ જાહેર રજા રહેશે. તો તારીખ 31મી માર્ચે બેન્કો માટે ક્લોઝિંગ હોય છે અને જેના પગલે આ દિવસે બેંક ગ્રાહકો સાથે લેવડ-દેવડ નથી કરતી. જેથી બેન્કિંગ વ્યવહાર બંધ રહેશે. જયારે તારીખ ૧લી એપ્રિલે રવિવારની જાહેર રજા છે.
આ રીતે 29 માર્ચથી 1લી એપ્રિલ સુધી સળંગ બેંકોમાં રજા રહેશે. બેંક બંધ રહેવાના કારણે ન તો ડ્રાફ્ટ બનશે અને ના તો ચેક ક્લિયરિંગમાં જશે. ટ્રેઝરીના માધ્યમથી થનારી સરકારી ચુકવણી 28 માર્ચ બાદ નહીં કરાય. 31 માર્ચ એટલે કે શનિવારે બેન્કો અને ટ્રેઝરી ખુલ્લી રાખવાની જાહેરાત થયા બાદ જ માસના અંત સુધી ક્લિયરન્સ થઈ શકશે.