અમદાવાદ : ભારતમાં ૩૭ મિલિયન લોકોને અસ્થમા છે એવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો અંદાજ છે. અસ્થમા હઠીલી સ્થિતિ છે, જે એલર્જન્સથી ઊથલો માલે છે અને વાયુમાર્ગને સાંકડો કરે છે, જેથી દરદીને શ્વાસ લેવામાં મુશ્કેલ પડે છે. સિવિલ હોસ્પિટલમાં છાતીના નિષ્ણાત ફિઝિશિયન ડો.નલીન શાહના જણાવ્યા અનુસાર અમદાવાદમાં અસ્થમાનો ઉપચાર લેતાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ ૬૦:૩૦ છે . અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ સહિતના વિવિધ પરિબળોને લઇ દિન પ્રતિદિન અસ્થમાનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરના જાણીતા ચેસ્ટ ફિઝિશીયન ડો.નલીન શાહે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અસ્થમા પ્રવર્તવા માટે મુખ્ય કારણોમાં વારસાગત, એલર્જી અને પ્રદૂષણ સહિતના પરિબળો છે. દરમ્યાન ઈનહેલેશન થેરપીનો ઉપયોગ કરતા દર્દીઓની સંખ્યા છેલ્લાં થોડાં વર્ષમાં વધી છે ત્યારે અંદાજે ૩૦ ટકા અસ્થમાના દર્દીઓ ઈનહેલરનો ઉપયોગ અધવચ્ચે બંધ કરે છે.
આથી અસ્થમા વિશે જાગૃત રહેવાનું અને દર્દીનાં પરિણામ સુધારવા માટે યોગ્ય ઉપચાર અપનાવવો તે સમયની જરૂર છે. પીડિયાટ્રિક સેગમેન્ટમાં પણ અસ્થમામાં વર્ષ દર વર્ષ નોંધનીય વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં ૩ થી ૩૮ ટકા બાળકોમાં તે પ્રવર્તમાન છે. બાળકોમાં શ્વાસના રોગનું તે સૌથી સામાન્ય સ્વરૂપ છે. ડેટા પર ભાર આપતાં ડો. નલીન શાહે જણાવ્યું કે, હું બાળકોમાં અસ્થમા વિશે વાત કરું છું ત્યારે સર્વ વયજૂથમાં તેઓ આ બીમારી લાગુ થવા માટે સૌથી નિર્બળ હોવાનું માનું છું.
અમદાવાદમાં દિવસે દિવસે અસ્થમાનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિથી સંકોચ રાખવાથી જીવનની ગુણવત્તામાં સુધારણા નહીં થશે, પરંતુ સંકોચ નહીં રાખવાથી જરૂર થશે. અસ્થમા દવાઓથી નિયંત્રણમાં લઈ શકાય છે, પરંતુ યોગ્ય ઉપચાર વિના વારંવાર હુમલા ઊપડી શકે છે. આ સંજાગોમાં બાળકોથી લઇ વયસ્ક દર્દીઓના કિસ્સામાં ઇનહેલેશન થેરપી સહિતની સારવાર બાબતે જાગૃતિ કેળવવી ઘણી ઉપયોગી અને રાહતકર્તા નીવડી શકે છે એમ તેમણે ઉમેર્યું હતું.