ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર એક બોલેરો અને બસ અથડાતા અકસ્માતની ઘટના બની હતી જેમાં 10 શ્રદ્ધાળુઓના કરૂણ મોત થયા હતા અને 19 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત મોડી રાત્રે 2.30 વાગ્યે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર મેજા વિસ્તારમાં થયો હતો. વિગતો એવી પણ સામે આવી છે કે, ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોનો આગળનો ભાગ તૂટી ગયો. ભક્તોને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા. ઘણા શ્રદ્ધાળુઓ બોલેરોમાં ફસાઈ ગયા હતા. બોલેરોમાંથી મૃતદેહ કાઢવામાં પણ ૩ કલાક લાગ્યાં હોવાનું સામે આવ્યું છે.
અકમાત બાદ પોલીસે તપાસ હાથ ધરી દીધી છે અને શ્રદ્ધાળુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. અકસ્માત બાદ ડીએમ રવિન્દ્ર કુમાર મંધડ અને કમિશનર અને તરુણ ગાબા ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. બસમાં મુસાફરી કરી રહેલા લોકોને ઈજા થઈ છે. અકસ્માતની ઘટના બનતાની સાથે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.
આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર બસના મુસાફરો મધ્યપ્રદેશના રાજગઢના રહેવાસી હતા અને સંગમમાં સ્નાન કરીને વારાણસી જઈ રહ્યા હતા. અકસ્માત મામલે વિગતો આપતા એસપી યમુનાપર વિવેક યાદવે જણાવ્યું હતું કે, બોલેરોમાં સવાર બધા મુસાફરો પુરુષો હતા. એટલું જ નહીં પરંતુ બોલેરોની ગતિ વધુ હતી. બસના ડ્રાઈવરે બ્રેક લગાવી પરંતુ બોલેરો બસ સાથે અથડાઈ ગઈ હતી અને મોટો ગંભીર અકસ્માત થયો સર્જાયો હતો.