પાટણનો યુવક અમરનાથ યાત્રામાં ઓક્સિજન ઘટી જતાં મૃત્યુ પામ્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

જમ્મુ-કાશ્મીરનાં પવિત્ર યાત્રાધામ અમરનાથયાત્રા પ્રવાસે ‘બરફીલા બાબા’નાં દર્શનાર્થે તા. ૧૫મી જૂલાઇએ પાટણનાં ચાર મિત્રો હાર્દિક મુકેશભાઇ રામી, આશિત હેમંતભાઈ તન્ના, નીશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિ જવા પ્રસ્થાન કર્યુ હતું. આ ચારેય મિત્રો પૈકી મંગળવારે તા. ૧૯મી જૂલાઇની યાત્રાનાં માર્ગમાં હતા, ત્યારે ગુફાથી ૧૦ કિ.મી. દૂર હાર્દિક મુકેશભાઇ રામીની તબીયત એકાએક લથડી હતી. અહીંની હવામાં ઓક્સિજન ઘટતાં તેનો શ્વાસ રુંધાઇ જતાં તે ઘોડા ઉપર જ ઢળી પડતાં આસપાસમાંથી લોકો અને અન્ય યાત્રાળુઓ દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી તે શિવધામમાં પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટના ક્રમ અંગે પાટણનગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ હેમંતભાઇ તન્નાએ જાણકારી આપતાં વધુમાં જણાવ્યું કે, આ બનાવ બન્યો ત્યારે તેનાં અન્ય મિત્રો તેમાંથી થોડા આગળ ચાલતા જતા હતા. તેઓને જાણ થતાં ત્રણેય મિત્રો દોડી આવ્યા હતા ને તેઓએ હેમંતભાઇને બનાવની જાણ કરી હતી. આથી પાટણથી અન્ય કેટલાક લોકો તુરત જ દિલ્હી થઇને અમરનાથ જવા નિકળ્યા હતા, પરંતુ તેઓને દિલ્હીમાં જ રોકાઇ જવા જણાવ્યું હતું.

આ દરમિયાન હાર્દિકનાં પાર્થિવ દેહને બાલતાલ સોનમર્ગ લાવવામાં આવતાં અહીં હોસ્પિટલમાં લઇ જતાં તેનો કબજાે પોલીસે લીધો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. ત્યારબાદ તેની બોડી સુપ્રત કરી હતી. હાર્દિકનાં પાર્થિવ દેહને અમદાવાદ અને પાટણ લાવવા માટે અને તેનાં મિત્રોને સરળતા રહે ને કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે પાટણથી ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, આર.સી. પટેલ, હેમંતભાઇ તન્ના, ઉદય પટેલ વિગેરેએ સી.એમ. હાઉસમાં સંપર્ક કરતાં ગુજરાત સરકારનાં પ્રયાસોથી હાર્દિકનાં પાર્થિવ દેહને ફ્લાઇટમાં અમદાવાદ લાવવા મંજૂરી મળી હતી. હાર્દિકનાં ત્રણે મિત્રોની વિમાન ટિકીટની વ્યવસ્થા તથા પાર્થિવ દેહને અમદાવાદ લાવવાની સમગ્ર વ્યવસ્થા ગુજરાત સરકારે જ કરી આપી હતી. સાંજે શ્રીનગરમાં વાતાવરણ ખરાબ હોવાથી આ ફ્લાઇટ હવે રાત્રે નવ વાગે પ્રસ્થાન થયું હોવાનું જાણવા મળ્યું હતું અને આજે અમદાવાદ લવાયો હતો. ત્યારબાદ પાટણ લઇ જવાયો હતો. જ્યાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ દુઃખદ ઘટનાથી તેનાં પરિવાર અને મિત્રમંડળમાં ભારે શોક પ્રસરી ગયો હતો.

આ બનાવ અંગે હાર્દિકનાં પિતાને પણ મોડેથી જાણ કરાતાં તેઓ યુવાન પુત્રનાં મૃત્યુથી ભારે શોકમગ્ન બની ગયા હતા. મૃતક હાર્દિક રામી તેની પાછળ પત્નિ અને એક બાળક અને પરિવારને રડતો છોડીને ગયા છે.પાટણ શહેરનાં ચાર યુવા મિત્રો પૈકી એક મિત્રનું યાત્રાધામ અમરનાથનાં દર્શનાર્થે જતાં તેનું દર્શનની ગુફાથી ૧૦ કિ.મી. દૂરનાં અંતરે અહીં ઓક્સિજન ઘટી જવાનાં કારણે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં તે ઘોડા ઉપર જ ઢળી પડ્યો હતો. તેનું ત્યાં જ અવસાન થતાં તેનાં પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. મૃતક હાર્દિક મુકેશભાઈ રામી (ચિન્ટુ)નાં પાર્થિવદેહને સરકારની મદદથી શ્રીનગરથી અમદાવાદ વિમાન મારફતે લવાયો હતો. જ્યાંથી વતન પાટણ લવાતા આખું ગામ હિબકે ચડ્યું હતું.

Share This Article