કોંગ્રેસમાં કોઈ અધ્યક્ષ બનવા તૈયાર નહોતું ખડગે બન્યા ત્યારથી દુઃખી : સ્મૃતિ ઇરાની

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી ૫મીએ યોજાશે ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ૩ બેઠક માટે સભાને સંબોધી હતી. ભાયલીમાં તેમણે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેઓએ રાજ્યમાં ગાંધી પરિવાર કેમ પ્રચાર માટે નથી આવ્યું તેવા સવાલો પૂછી ગુજરાતનું અપમાન કરનારને વોટ ન આપવા અપીલ કરી હતી. જ્યારે ભાયલીની સભામાં ડભોઈના ઉમેદવાર શૈલેષ સોટ્ટાએ પણ વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. માંજલપુરમાં સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ હાર માની ચૂક્યા છે, જેના કારણે એક પણ આગેવાન ગુજરાતની ચૂંટણીમાં ફરક્યા પણ નથી.

બીજી તરફ છાણીમાં સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, નર્મદાના પાણીને લઈને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઉપવાસ કરવા પડ્યા હતા. જેને કારણે કોંગ્રેસના આગેવાનોએ દિલ્હી જઈ મેડમને કહ્યું પડ્યું હતું કે, જો નર્મદાનું પાણી નહીં પહોંચાડાય તો જનતા કોંગ્રેસને ગુજરાતમાં આવવા નહીં દે. કોંગ્રેસના એક-એક વ્યક્તિને કહેવું પડે છે કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ બનો. અશોક ગેહલોત ના કહ્યું અને અન્ય નેતાઓએ કહ્યું અમારે તમારી ચાકરી નથી કરવી. છેલ્લે ખડગેજી બન્યા. અને ત્યારથી તે દુઃખી છે

. બીજી તરફ ભાયલીની સભામાં ડભોઇના ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટાએ સંબોધનમાં કહ્યું કે, કોઈએ હવા ચલાવી હતી કે હું બહારનો છું, કોઈએ કહ્યું કે હું અમુક કોમને ત્યાં ઘૂંટણિયે પડવા ગયો હતો. જેને તકલીફ હતી તે ભાજપ છોડીને ચાલ્યા ગયા છે. ભાયલીના સરપંચને ટિકિટ ન મળતાં આપમાં ગયા અને હવે કોંગ્રેસના ટેન્ટમાં જઈને બેસે છે. ભાયલીમાં એમની કોઈ ઉપજ છે? હું જાહેરમાં કહું છું તેમને કે આપણે આપણી હેસિયતમાં રહેવું જોઈએ. શૈલેષ સોટ્ટા કોઈથી ગભરાયો નથી અને ગભરાતો નથી. ચાર જંગલી કૂતરા સિંહનો શિકાર ન કરી શકે. શિકાર કરવાનો હવે અમારો સમય આવશે. હું લવ જેહાદના કાયદા માટે પણ એકલો લડ્યો હતો.

Share This Article