અમિત શાહે સોમનાથ દાદાના દર્શન પહોંચ્યા : પૂજા-અભિષેક

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામોના પાંચ દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ  પરિવાર સાથે સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતાં. જ્યાં તેમનું સ્વાગત સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અમિત શાહે તેના પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા કરી અભિષેક કર્યો હતો. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન માટે આવી પહોંચ્યા હતાં. અમિત શાહ પહેલા ગઇકાલે તા.૧૭ મી મેના રોજ સોમનાથ આવવાના હતા પરંતુ અચાનક કામ આવી જતાં ગઇકાલના બદલે તેઓ આજે દર્શન કરવા પહોંચ્યા હતાં.

અમિત શાહને દિલ્હીમાં મહત્વનું કામ આવી જતા શાહ રાત્રે ૧૧ કલાકે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત રાજકોટના મેયર, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, અને ધારાસભ્યએ કર્યું હતું. અમિત શાહ તથા તેમના પરિવાર માટે રાજકોટના સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણની વ્યવસ્થા કરાઇ હતી. શુક્રવારે રાત્રે શાહ પરિવાર માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઇ હતી. પરંતુ તેમને દિલ્હીમાં કામ હોવાથી ત્યાથી ભોજન લઇ રાત્રે ૧૧ કલાકે રાજકોટ આવ્યા હતા અને આજે પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.

અમિત શાહે પત્ની, પુત્ર જય સહિત પરિવારના સભ્યો સાથે સોમનાથ મહાદેવની પૂજા, જળાભિષેક અને દર્શન કર્યા હતા. મંદિરના પૂજારીઓ દ્વારા શાહ અને તેમના પરિવાર માટે વિશેષ પૂજા કરાવવામાં આવી હતી. છેલ્લા દોઢ મહિનાથી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કામગીરી ચાલી રહી હતી. ૧૦મી માર્ચના દિવસે લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થયા બાદથી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. અમિત શાહ તમામ કાર્યક્રમોમાં સૌથી અગ્રણી હતા. તેમના વ્યસ્ત કાર્યક્રમના કારણે સમય આપી શકતા ન હતા. ચૂંટણી પ્રચારનો હવે અંત આવ્યા બાદ આવતીકાલે ૭માં તબક્કાની ચૂંટણી યોજાય તે પહેલા અમિત શાહ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.

Share This Article