નેપાળ પ્લેન ક્રેશમાં યુપીના ૫ મિત્રોના મોત, પ્લેન ક્રેશ પહેલા બનાવ્યો હતો વીડિયો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નેપાળમાં રવિવારે એક દુઃખદ વિમાન દુર્ઘટના ઘટી હતી, જેમાં ૬૮ લોકોના મોત થયા હતા. મૃતકોમાં પાંચ ભારતીયો છે, જેઓ ઉત્તર પ્રદેશના ગાઝીપુર અને વારાણસી જિલ્લાના રહેવાસી હતા. મૃતકોની ઓળખ વિશાલ શર્મા, સોનુ જયસ્વાલ, સંજય જયસ્વાલ, અભિષેક કુશવાહા અને અનિલ રાજભર તરીકે થઈ છે. મૃતકો ગાઝીપુર જિલ્લાના સિપાહ, ધારવા અને અલવલપુર ગામના રહેવાસી હતા. આ તમામ ૧૩ જાન્યુઆરીએ નેપાળ ફરવા ગયા હતા અને તેમાંથી એકે પ્લેનની અંદરથી ફેસબુક લાઈવ કર્યું હતું. રવિવારે સવારે નેપાળમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ ભારતીય નાગરિકોમાંથી ચાર પોખરાના પ્રવાસન કેન્દ્રમાં પેરાગ્લાઈડિંગ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું આયોજન કરી રહ્યા હતા.

એક સ્થાનિક નાગરિકે આ માહિતી આપી હતી. મધ્ય નેપાળમાં પોખરા શહેરમાં નવા શરૂ કરાયેલા એરપોર્ટ પર ઉતરતી વખતે રવિવારે સવારે યેતી એરલાઇનનું વિમાન નદીની ખીણમાં ક્રેશ થયું હતું. વિમાનમાં પાંચ ભારતીયો સહિત ૭૨ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ઓછામાં ઓછા ૬૮ લોકોના મોત થયા હતા. યેતી એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયેલા વિમાનમાં સવાર પાંચ ભારતીયોની ઓળખ અભિષેક કુશવાહા (૨૫), વિશાલ શર્મા (૨૨), અનિલ કુમાર રાજભર (૨૭), સોનુ જયસ્વાલ (૩૫) અને સંજય જયસ્વાલ (૩૫) તરીકે થઈ છે. જેમાંથી સોનુ જયસ્વાલ ઉત્તર પ્રદેશના વારાણસીનો રહેવાસી હતો. આ પાંચમાંથી ચાર ભારતીયો શુક્રવારે જ ભારતથી કાઠમંડુ પહોંચ્યા હતા. દક્ષિણ નેપાળના સરલાહી જિલ્લાના રહેવાસી અજય કુમાર શાહે જણાવ્યું હતું કે, “વિમાનમાં સવાર ચાર ભારતીયો પોખરાના તળાવ શહેરમાં પેરાગ્લાઈડિંગનો આનંદ માણવાની યોજના બનાવી રહ્યા હતા.”

વિદેશ મંત્રી જયશંકરે ટ્‌વીટ કર્યું, “નેપાળના પોખરામાં પ્લેન ક્રેશ વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. અમારા વિચારો પીડિત પરિવારો સાથે છે. તે જ સમયે, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નેપાળમાં વિમાન દુર્ઘટનામાં લોકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને તેને ‘અત્યંત દુર્ભાગ્યપૂર્ણ’ ઘટના ગણાવી.

Share This Article