અમદાવાદ: શહેરમાં ૮ માર્ચે રવિવારે ૨૪મી વાર્ષિક TTEC વેલનેસ વોક યોજાવાની છે. સંજોગવશ આ દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે પણ સંકળાયેલો છે. દર વર્ષે યોજાતી આ વોકમાં અમદાવાદના હજારો લોકો ભાગ લે છે અને તેનો મુખ્ય હેતુ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો તથા સામાજિક સેવા કરતી સંસ્થાઓને સહકાર આપવાનો છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમનું આયોજન એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. વોકનો પ્રારંભ સવારે 6:45 વાગ્યે થશે. અગાઉ આ કાર્યક્રમ ‘મોટિફ–TTEC ચેરિટી વોક’ તરીકે ઓળખાતો હતો, પરંતુ હવે તે શહેરની જાણીતી કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) આધારિત સમુદાય પહેલોમાંથી એક બની ગયો છે.
૨૦૦૩માં મનોરંજક પ્રવૃત્તિ તરીકે શરૂ થયેલી આ પહેલ આજે એક મોટી સામાજિક ચળવળ બની ગઈ છે. ૨૦૨૫ સુધી યોજાયેલી ૨૩ પદયાત્રાઓમાં કુલ ૭૭ એનજીઓને ₹12.42 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરી સહાય કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1,04,355થી વધુ લોકોએ આ વોકમાં ભાગ લીધો છે, જ્યારે 284 દાતાઓએ આ પહેલને સહયોગ આપ્યો છે.
આ વર્ષે વ્યક્તિગત નોંધણી અને કોર્પોરેટ પ્રાયોજકતા દ્વારા એકત્ર થનાર ભંડોળ ત્રણ એનજીઓને આપવામાં આવશે. તેમાં માનવ પરિવાર ટ્રસ્ટ (નોંઘણવદર), શ્રી દાનેવ ફાઉન્ડેશન અને શ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. TTEC દ્વારા વ્યક્તિગત નોંધણીઓથી મળેલી રકમ જેટલી જ રકમ મેચ કરીને એનજીઓને વધારાનો ફાળો પણ આપવામાં આવશે.
સહભાગીઓ ટાઉનસ્ક્રિપ્ટ દ્વારા ઓનલાઈન નોંધણી કરી શકે છે. નોંધણી માટે લઘુત્તમ ફી ₹300 રાખવામાં આવી છે. કાર્યક્રમમાં 4 કિમી વોક અને 7.5 કિમી દોડ એમ બે શ્રેણી રાખવામાં આવી છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને મહિલાઓની ભાગીદારીમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. 1911થી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને આ વર્ષે 115 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
TTEC ઈન્ડિયાના ઉપપ્રમુખ (ઓપરેશન્સ) બિજુ પિલ્લઈએ જણાવ્યું હતું કે આ વર્ષની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ‘Give to Gain’ છે. આ ભાવનાને ધ્યાનમાં રાખીને વેલનેસ વોકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ કાર્યક્રમ લોકોમાં સમાજને પરત આપવાની ભાવના જગાવે છે અને સાથે સાથે ચાલવાની ટેવ દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ પ્રેરિત કરે છે.
લાભાર્થી એનજીઓ વિશે
માનવ પરિવાર ટ્રસ્ટ (સ્થાપના: 2013) – બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા ત્યજી દેવાયેલા લોકોને આશ્રય, તબીબી સારવાર અને પુનર્વસન પૂરૂં પાડે છે.
શ્રી દાનેવ ફાઉન્ડેશન (સ્થાપના: 2017) – અમદાવાદમાં રખડતા પ્રાણીઓના બચાવ, સારવાર અને પક્ષીઓના કલ્યાણ માટે કાર્ય કરે છે.
શ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ (સ્થાપના: 2008) – વંચિત બાળકો માટે શિક્ષણ, પોષણ જાગૃતિ અને જીવન કૌશલ્ય તાલીમ દ્વારા સશક્તિકરણ માટે કાર્ય કરે છે.
આ વોક માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સમુદાય, સ્વાસ્થ્ય અને માનવતા માટેની સંયુક્ત પ્રતિબદ્ધતાનું પ્રતીક બની છે. આયોજકો દ્વારા શહેરના નાગરિકોને પરિવાર અને મિત્રો સાથે જોડાઈને આ પહેલમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
